વિજયનગર તાલુકાના વણજ ગામના ર૧ ખાતેદારોની ફળદ્રુપ જમીન સરકારે હરણાવ ડેમ બનાવવા માટે ફોસલાવી પટાવી જઈ લીધા બાદ આજે ૪૦ વર્ષ પછી પણ આ અસરગ્રસ્તોને જમીન કે મકાન ન આપીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની આ આદિવાસી ખાતેદારો લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે તેમણે પોતાના હક્કો માટે સ્થાનિક ધારાસભ્યની આગેવાની હેઠળ હિંમતનગર આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાય માગ્યો હતો.
આ અંગે ધારાસભ્ય અશ્વિન કોટવાલ તથા અન્ય અસરગ્રસ્તોએ આપેલા આવેદનપત્રોમાં કરેલા આક્ષેપ મુજબ વર્ષ ૧૯૭૬-૭૭ માં તત્કાલીન સરકારે વણજ ગામ પાસે હરણાવ ડેમ બનાવવા માટે વણજ ગામના ર૧ આદિવાસી ખેડુતોની ફળદ્રુપ જમીન સંપાદિત કરી લીધી હતી. જા કે ત સમયે આ ખેડુતોને સરકારે સર્વે નં.૪૯ અને પપ માં જમીન આપીશુ તેમ કહી વૃક્ષોનું માર્કિંગ કરી પ્લોટોનો નકશો પણ બનાવ્યો હતો. તથા પિવાના પાણી માટે કૂવો બનાવ્યો હતો. જે આજે ૪૦ વર્ષ પછી પણ હયાત છે. બીજી તરફ ગત તા.૧૪/૧૦/૧૯૮૧ ના રોજ નાયબ વન સરક્ષકે જમીન આપવા માટે કમિટી બનાવવા સહમત થયા હોવા છતાં આજદિન સુધી હરણાવ જળાશયના આ ર૧ અસરગ્રસ્તોને તસુભાર જમીન કે પ્લોટ મળ્યા નથી. જેને લઈને આ ર૧ પરિવારોની હાલત ખુબ જ કફોડી બની ગઈ છે. જે અંગે અવાર નવાર રજુઆતો કરવા છતાં સરકાર અમારા પ્રત્યે કોઈ લાગણી બતાવતી નથી.
આખરે કંટાળીને આ અસરગ્રસ્તોએ સોમવારે સ્થાનિક ધારાસભ્યની આગેવાની હેઠળ મહીલાઓ તથા પુરૂષોએ ભેગા થઈને હિંમતનગર આવી જિલ્લા કલેક્ટર કચેરી આગળ સુત્રો પોકારી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અને આગામી ૧૦ દિવસમાં સરકાર તરફથી હકારાત્મક કાર્યવાહી કરી આ અસરગ્રસ્તોને જમીન અને પ્લોટની ફાળવણી નહી કરવામાં આવે તો કલેક્ટર કચેરી આગળ સામુહિક ભુખ હડતાલ પર બેસવાનો નિર્ણય કરી આત્મા વિલોપન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.