ઊંઝા લૂંટ કેસમાં સંડોવાયેલા ચાર ઈસમો કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ
ઊંઝા હાઇવે સર્કલ નજીક એક ટ્રાન્સપોર્ટર પર હુમલો થયો હતો: ઊંઝા હાઇવે સર્કલ નજીક ચાર દીવસ અગાઉ ઊભેલા ટ્રાન્સપોર્ટરને માર મારી લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલ ચાર આરોપીઓને મહેસાણા એલ.સી.બી. પોલીસે ઝડપી લઈ ઊંઝા પોલીસને સોંપ્યા હતા. જેને ઊંઝા પોલીસે કોર્ટમાં રજૂ કરતાં સરકારી વકીલ આર.ઝેડ.વિહોલની દલીલોને ધ્યાને લઈ કોર્ટના ન્યાયધીશ દ્રારા તા.૧૮ એપ્રિલ ૨૦૨૪ ત્રણ દિવસ સુધીના રિમાન્ડ મેળવેલ છે.
માહિતી અનુસાર ઊંઝા હાઇવે પર આવેલ જહાવમી હોમ્સમાં રહેતા અને ઊંઝા જય વિજય સોસાયટી રોડ પર આવેલ સૈનિક ટ્રાન્સપોર્ટ ધરાવતા પ્રબોધ નરેશભાઈ શર્મા ઉ.વ. ૨૮ સર્કલ ભવન કોમ્પલેક્ષ નજીક ચાની કીટલી પર ચા પી રહ્યા હતા તે દરમિયાન એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની વરના ગાડીમાં આવેલ આખા મોઢા ઉપર કાળું કપડું બાંધેલ ચાર અજાણ્યા ઇસમો હાથમાં લોખંડની પાઇપ લઈ આવી લોખંડની પાઇપો વડે શરીરે બન્ને પગે ઘૂંટણથી નીચેના ભાગે તથા બરડામાં ડાબી બાજુએ આખા ભાગમાં જમણી બાજુએ ઇજા થયેલ તેમજ લુંટ ચલાવી હતી. મહેસાણા એલ.સી.બી પોલીસે સદર ગુનામાં સંડોવાયેલા ચાર ઈસમો દેસાઈ તેજસકુમાર ઉર્ફ લાલી રહે.મહેસાણા, સંજયજી શંકરજી ઠાકોર રહે. ઉમાનગર નંદાસણ, હરીચંદ્રસિંહ ઉર્ફ હરિભા અરવિંદસિહ ઝાલા રહે.રાજપુર તા.કડી, સચિનગીરી મનુગીરી ગોસ્વામી રહે.નંદાસણ લક્ષ્મીપુરા તા.કડીને ઝડપી લઇ ઊંઝા પોલીસે સોંપ્યા હતા. જેને ઊંઝા પી.આઈ પી.ડી.દરજી દ્વારા ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં સરકારી વકીલ આર.ઝેડ.વિહોલની દલીલો ધ્યાનમાં લઈ કોર્ટના ન્યાયધીશ દ્રારા ચારેય આરોપીને ત્રણ દિવસ એટલે કે તા.૧૮ એપ્રિલ ૨૦૨૪ સુઘીના રિમાન્ડ મંજુર કર્યા છે.