પાલનપુરની ગાયત્રી પરિવાર સોસાયટીમાં રૂ.1.85 લાખની ચોરી
પરિવાર લગ્નમાં મહાલવા ગયો ને તસ્કરો હાથફેરો કરી ગયા: પાલનપુરના સુખબાગ રોડ પર આવેલી ગાયત્રી પરિવાર સોસાયટીમાં રહેતો એક પરિવાર લગ્ન મહાલવા ગયો હતો. જે તક નો લાભ લઇ ધોળા દિવસે તસ્કરો તેમના મકાનમાં ત્રાટકયા હતા. જેઓ મકાનના પાછળના ભાગનું પાટીયુ તોડી સ્ટોપર ખોલી અંદર પ્રવેશ કરી સોના- ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.1.85 લાખની ચોરી કરી ફરાર થઈ જતા મકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર સુખબાગ રોડ પર ગાયત્રી પરિવાર સોસાયટીમાં રહેતા અને કલરકામ કરતા બાબુલાલ રામકિશન વાઘેલા (રાજપુત) તેમના ભાઈના દીકરાના લગ્ન હોવાથી તેઓ પાલનપુર અંબાજી હાઈવે પર આવેલી સત્યમ સીટી સોસાયટીમાં મંગળવારે સવારે 11:00 વાગે ગયા હતા. ત્યારબાદ સાંજે હલ્દી ની રસમ હોવાથી બપોરના સમયે તેમના દીકરા મિલને તેમને કહેલ કે હું આપણા ઘરે જઈ કપડાં બદલી પરત આવું છું. તેમ કહી બપોરના આશરે ત્રણેક વાગે તેમના ઘરે ગયો હતો.
દરમિયાન તેમના મકાનના આગળ નો મુખ્ય દરવાજો ખોલી અંદર પ્રવેશ કરતા ઘરમાં સરસામાન વેર વિખેર હાલતમાં પડેલો હતો. જેથી તેના પિતાને આ અંગેની જાણ કરી હતી કે આપણા પાછળના દરવાજાના લાકડાનું પાટિયું તોડી અંદર હાથ નાખી ઘરના અંદરનું સ્ટોપર ખોલી કોઈ અજાણ્યા શખ્સોએ અંદર પ્રવેશ કરી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારના સભ્યો ઘરે આવી ગયા હતા અને મકાનમાં પડેલ સરસામાન તપાસતા સોના ચાંદીના દાગીના આશરે કિંમત રૂ. 85,700 તથા રોકડ રકમ રૂ. એક લાખ મળી કુલ રૂ.1,85,700 ની કોઈ અજાણ્યો ચોર ચોરી કરી પલાન થઈ ગયો હોવાની પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.