![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/વિસનગર-શહેરની-સંતોષનગર-હેડ.jpg)
વિસનગર : સોસાયટીમાં પાણીની લાઇનમાં ફસાયેલી પથ્થર ભરેલી કોથળીને બહાર કાઢી પાણી ફરી શરૂ કરાયું
વિસનગર શહેરની સંતોષનગર સોસાયટીના બી વિભાગમાં છેલ્લા 20 દિવસથી પાણી ન આવતું હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. જે આ અંગે વોર્ડના સભ્યોને રજૂઆત કરતા પાણીની પાઈપલાઇનના સમારકામ દરમિયાન પથ્થર ભરેલી કોથળી મળી આવી હતી. જેના કારણે સોસાયટી સુધી પાણી પૂરા ફોર્સથી પહોચતું નહતું. જેમાં પાઈપલાઇનમાંથી પથ્થર ભરેલી કોથળીને બહાર કાઢી પાણી ચાલુ કરાતા ફોર્સથી પાણી આવતા સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.
શહેરની સંતોષનગર સોસાયટીના બી વિભાગમાં છેલ્લા 20 દિવસથી પાણી ન આવતું હોવાથી રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેમાં સોસાયટીના રહીશોને બીજી સોસાયટીમાંથી પાણી ભરવા માટે જવું પડતું હતું. જેને લઇ સોસાયટીના રહીશો દ્વારા પાલિકામાં રજૂઆત કરાતાં પાલિકાના કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે તપાસ બાદ પણ પાણી ન આવતા રહીશો રોષે ભરાયાં હતાં.
સોસાયટીના રહીશોએ વોર્ડના સદસ્ય અને પાલિકાના કારોબારી ચેરમેનને રજૂઆત કરતા વોટર વર્કસના કર્મચારીઓને સાથે રાખી પાઈપલાઇનનું સમારકામ કામકાજ ચાલુ કરાયું હતું. જેમાં સમારકામ દરમિયાન પાઈપલાઈનમાંથી પથ્થર ભરેલી કોથળી ફસાઈ હોવાથી સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળતા કોથળીને બહાર કાઢવામાં આવી હતી. ત્યાર બાદ પાણી શરૂ કરાતા પૂરતા ફોર્સથી પાણી મળતા સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.