પાલનપુર : દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામની મહિલાએ ગામના ચાર રહિશો ઉપર ખોટી રીતે ફરિયાદ દાખલ કરાવી હોઇ આ અંગે તટસ્થ તપાસ કરવા માટે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદિપ સાગલેને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં જણાવાયું હતુ કે, દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામના જબુબેન મણાભાઇ રબારીએ ગામના જ દિલીપસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા, ગણપતસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા, ભગતસિંહ કેદારસિંહ વાઘેલા અને દશરથસિંહ દિલીપસિંહ વાઘેલા ઉપર ખોટો ગૂનો દાખલ કરાવ્યો છે. તા. ૧૪ જુનના રોજ બનાવ સમયે આ વ્યકિતઓ ગામમાં હાજર ન હતા. જેના પુરાવા પણ છે. વળી ફરિયાદી બહેન છેલ્લા આઠ માસથી દાંતીવાડા તાલુકાના શીકરીયા ગામે રહે છે. મોટી ભાખર ગામે આવતા નથી તેમ છતાં ઉપરોકત રહિશોને હેરાન- પરેશાન કરવા માટે ખોટી ફરિયાદ ઉપજાવી કાઢી છે. જેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને આ અંગે તટસ્થ અને ઉંડી તપાસ કરવામાં આવે તેવી માંગ છે.