મોડાસાના સાયરાની યુવતીના મોત કેસમાં DGP શિવાનંદ ઝાએ CID ક્રાઈમને તપાસ સોંપી SIT રચી
અરવલ્લીના મોડાસાના તાલુકાના સાયરા (અમરાપુર)ની યુવતીના મોતના કેસમાં આજે યુવતીના પરિવાર સહિતના લોકો ગાંધીનગરમાં ચીફ સેક્રેટરી અને રાજ્યના પોલીસ વડાને મળ્યા હતા. ત્યારબાદ ઘટનાને ગંભીરતાથી લઈને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી છે. સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારની આગેવાનીમાં એક એસઆઈટીની રચના કરવામાં આવી છે. બીજી તરફ બેદરકારી બદલ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ એન. કે. રબારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મોડાસામાં જાહેર માર્ગ પરથી યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કરવાના બનાવમાં પરિવારજનોને ન્યાય અપાવવા ગાંધીનગર ખાતે શનિવારે વિવિધ સંસ્થાઓ દ્વારા દલિત મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું. બીજી તરફ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા રાજ્યના મુખ્ય સચિવ પાસેથી એક્શન ટેકન રિપોર્ટ પણ માગવામાં આવ્યો છે.
આ ઘટનામાં તટસ્થ અને ન્યાયી તપાસ માટે સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા મુખ્ય સચિવ અનિલ મુકીમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં એવી માગણી કરાઈ છે કે, તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. ફરજમાં બેદરકારી દાખવનારા એસપી મયૂર પાટીલ અને પીઆઈ એન.કે. રબારીની તાત્કાલિક અસરથી જિલ્લા બહાર બદલી કરવામાં આવે. આ બનાવમાં સાત દિવસમાં જો પગલાં નહીં લેવાય તો રાજ્યભરમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.