અંબાજીમાં રીક્ષાચાલકોની દબંગાઈ:પ્રવાસે આવેલા બાળકો સાથે ઝઘડો કરી ઢોર માર માર્યો
અંબાજીમાં રિક્ષાચાલકોની દબંગાઈ સામે આવી છે. તારીખ 6ના રાત્રે થરાદથી પ્રવાસે આવેલા શાળાના બાળકો પર રિક્ષાચાલકોએ હુમલો કર્યો હતો. થરાદની સરસ્વતી શાળાના બાળકો પ્રવાસ માટે અંબાજી આવ્યા હતા. ત્યારે રાત્રે 51 શક્તિપીઠ સર્કલ પર બાળકો રિક્ષાઓ આગળથી નીકળતા નજીવી બાબતોને લઈને વિવાદ સર્જાયો હતો. જેને લઈ રીક્ષાચાલકોએ પ્રવાસે આવેલા બાળકો પર હુમલો કર્યો હતો.રીક્ષાચાલકોએ બાળકો પર હુમલો કરતા બાળકો સહિત સ્કૂલ સ્ટાફ પણ ગભરાઈ ગયો હતો. ત્યાર બાદ સ્કૂલના બાળકો અને શિક્ષક અંબિકા ભોજનાલય ભોજન માટે પહોંચ્યા હતા. ત્યારે પણ માથાભારે રીક્ષાચાલકો ત્યાં તેમને ગોતવા માટે પહોંચ્યા હતા. ત્યારે બે બાળકો ગભરાઈને બસ નીચે સંતાઈ ગયા હતા. જે બાદ બાળકો અને સ્ટાફ દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનમાં ઘટનાને લઈને અરજી આપવામાં આવી હતી. ત્યારે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ સ્ટાફ પણ દોડતો થયો હતો અને 5 રીક્ષાચાલકોની ધરપકડ કરી હતી.
માથાભારે રીક્ષા ચાલકો દ્વારા સ્કૂલના બાળકો જે પ્રવાસે આવ્યા હતા. તેમના પર હુમલો કરતા બે બાળકોને વધુ ઈજાઓ આવી હતી. ત્યારે તેમને સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રીક્ષાચાલકો બાળકોને ગોતવા ભોજનાલયમાં પહોંચ્યા હતાં. જ્યાંના CCTV સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. CCTVમાં અંબિકા ભોજનાલ્યના લોકો અને ત્યાંનો સ્ટાફ હોવાના કારણે બાળકોનો બચાવ થયો હતો. સમગ્ર ઘટનાના કારણે બાળકો અને શિક્ષકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.અંબાજી પોલીસ સ્ટેશન ના પી.આઇ. જી.આર. રબારીએ જણાવ્યું હતું કે, બનેલી ઘટનામાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. જેના અનુસંધાને અંબાજી પોલીસ દ્વારા તપાસ કરતા રીક્ષાચાલકો વિરુદ્ધ 151ની ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યાર બાદ પાંચ રીક્ષાચાલકોને આરોપી તરીકે અંબાજી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.