ચાણસ્મા ખાતે ચાલી રહેલી રણુંજ- બેચરાજી રેલવે બ્રોડગેજ લાઈનની સાંસદ દ્વારા સમીક્ષા કરવામાં આવી
હાલમાં ચાણસ્મા શહેરની અંદર રણુંજ ચાણસ્મા થી બેચરાજી સુધી રેલ્વે વિભાગ દ્વારા મીટર ગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.ત્યારે રવિવારે ચાણસ્મા ખાતે આવેલા અમદાવાદ પશ્ચિમના સાંસદ તેમજ ચાણસ્માના પનોતા પુત્ર કિરીટભાઈ સોલંકીએ સ્થળ પર જઈ રેલ્વેના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી કામની સમીક્ષા કરી હતી.
ચાણસ્મા ખાતે આવેલા સાંસદ કિરીટભાઈ સોલંકીએ ચાણસ્મા ખાતે આવેલ રેલ્વે સ્ટેશન પર રૂબરૂ જઈને ચાલી રહેલા કામની રેલ્વેના અધિકારીઓને સાથે રાખીને સમીક્ષા કરી હતી.તેમ જ બાજુમાં આવેલ સ્મશાનગૃહને રેલ્વે ટ્રેકથી નીચા લેવલ માં હોય તે જગ્યાનું લેવલ રેલ્વે ટ્રેકના સમાંતર કરવા,મંડ લોપ ફાટક થી ચાણસ્મા નગરમાં પ્રવેશવાના રોડ નું કામ સત્વરે કરવામાં આવે તે સહિતના સૂચનો સ્થળ ઉપર જઈને આપવામાં આવ્યા હતા.તેમજ આગામી સમયમાં ચાણસ્માથી હારીજ તેમજ રાધનપુર થી ભુજ સુધી રેલ્વે લાઈન મંજુર થવાની તૈયારીમાં છે.તેમ સાંસદ કિરીટભાઈ સોલંકીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.