અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે ગેરકાયદે વસવાટ કરતા ૧૧ બાંગ્લાદેશીઓની ધરપકડ
દેશમાં નાગરિકતા કાયદો અમલી બન્યા બાદ દેશભરમાં ગેરકાયદે વસવાટ કરતા લોકો સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. ગુજરાતમાં હવે ગેરકાયદેસર રહેતા લોકો માટે સકંજો કસાઈ રહ્યો છે. અમદાવાદમાંથી આજે ૧૧ બાંગ્લાદેશી લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના ઈસનપુરમાં પુરાવા વગર રહેતા લોકો વિરુદ્ધ આજે એસઓજી (SOG) ક્રાઇમે ધરપકડ કરી છે. આ તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી લેવા SOGના DCP ડૉ. હર્ષદ પટેલ અને SP બી.સી.સોલંકી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ભારતીય પુરાવા વિના અમદાવાદના ઇસનપુર ચંડોળા તળાવ પાસેના વિસ્તારમાં રહેતા ૧૧ બાંગ્લાદેશીઓની SOG ક્રાઈમે ધરપકડ કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, અમદાવાદમાંથી દર વર્ષે આશરે ૫૦ જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવે છે અને તેમને ડિપોટ કરીને બાંગ્લાદેશ મોકલવામાં આવે છે. આમ છેલ્લા ૫ વર્ષમાં જોઇએ તો અમદાવાદમાંથી આશરે ૨૫૦ જેટલા બાંગ્લાદેશીઓને ડિપોટ કરીને પરત બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ઓઢવ વિસ્તારમાં આવેલ શ્રમજીવીઓની વસાહતમાંથી ૧૧ બાંગ્લાદેશીને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા પકડવામાં આવેલા તમામ લોકો પાસે પાસપોર્ટ પણ ન હતા અને તે લોકો અમદાવાદમાં વાંસના સાવરણા– સાવરણી બનાવીને તેમજ છૂટક મજૂરી કામ કરીને વસવાટ કરતા હતા. આ તમામ લોકોને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને તેમને બાંગ્લાદેશ ડિપોટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.