પાલનપુર-ડીસા હાઈવે ઉપર અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીને અડફેટે લીધો
પાલનપુર-ડીસા હાઈવે ઉપર ચંડીસર નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીને અડફેટે લઈ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પદયાત્રીને ભારે ટક્કર લાગતા ગંભીર રીતે ઇજા પહોંચી હતી. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
ભાદરવી પૂનમના મહા મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો પદયાત્રા કરીને મા ના ચરણોમાં શીસ નમાવતા હોય છે. ત્યારે રવિ કુમાર નામનો યુવક ડીસાથી અંબાજી પગપાળા જતો હતો. ચંડીસરથી કુસ્કલ માર્ગ પર રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે રવિ કુમારને ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થયો હતો જેના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રવિકુમારે રાત્રીના 11:32ના સોશિયલ મીડિયામાં સ્ટેટસ પણ મુક્યુ હતું. જે બાદ પાલનપુર દેવપુરા ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા પિતરાઈ વિષ્ણુભાઈને ફોન કરીને કહ્યું હતું કે, સવારે ત્રણ વાગે હું પહોંચું ત્યારે પાણીની બોટલ લઈને આવજે, જોકે પરિવારને અકસ્માતની જાણ થતા તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહ કબજે લઈ પીએમ અર્થ ચંડીસર રેફરલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રવિ કુમારના પિતાએ ગઢ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.