પાલક પિતાએ જ સગીર દીકરીને પીંખી નાંખી, પાલનપુર તાલુકાના કરજોડા ગામનો શરમજનક બનાવ
બનાસકાંઠા જિલ્લામાં હજી થોડા દિવસ પહેલા જ પિતરાઇ ભાઇએ મુકબધીર સગીર બહેન પર દુષ્કર્મ કરીને હત્યા કર્યાની ઘટનાના પડઘા શમ્યા નથી ત્યારે ફરીથી સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. જેમાં પાલનપુર તાલુકાના કરજોડા ગામમાં ખુદ પાલક પિતા જ પોતાની ૧૩ વર્ષની દીકરી પર છેલ્લા એક મહિનાથી દુષ્કર્મ ગુજારતો હોવાની ફરિયાદ નોંધાઇ છે. હાલ પાલક પિતા ફરાર છે અને તેને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, પાલનપુર તાલુકાના કરજોડા ગામમાં પાલક પિતા વિરુદ્ધ સગીર દીકરી પર બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. આ નરાધમ સાથે અમદાવાદની યુવતીએ લગ્ન કર્યા હતા અને તેની સાથે તેની દીકરી પણ હતી. પરંતુ એક મહિના પહેલા તેની પત્ની અને પીડિત સગીરાની માતા ભાગી ગઇ હતી. જેનો ગુસ્સો રાખીને પિતા સાવકી દીકરી પર એક મહિનાથી મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો.
હજી થોડા દિવસ પહેલા જ ડિસાની ૧૨ વર્ષીય મૂકબધિર સગીરા પર ૨૪ વર્ષના ફોઇના દીકરાએ દુષ્કર્મ ગુજારી છરીથી ગળું કાપી ૨૦ ફૂટ દૂર ફેંકવાની ઘટના બની હતી. આ યુવકે ડીસાથી પિતરાઈ બહેનને બાઇક પર બેસાડી દાંતીવાડાના ભાખર ગામની અવાવરું જગ્યાએ લઈ જઇ આ જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હતો. જેના પડઘા હજી શમ્યા નથી ત્યાં આ બીજી ઘટનાએ સામાજિક સંબંધો અને માનવીય મૂલ્યોની તમામ હદો પાર કરી દીધી છે ત્યારે આવા નરાધમોને ફાંસી અપાય તે જરૂરી છે.