મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું- ૫ લાખ સુચન મળ્યા, મોટાભાગના લોકોએ કહ્યું- સોશિયલ ડિસ્ટન્સિંગ ન રાખવા પર કાર્યવાહી કરવામાં આવે
દિલ્હીમાં લોકડાઉનનો અગામી ફેઝ કેવો હોઈ શકે છે ? મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે આ અંગેના સંકેત આપ્યા છે. કેજરીવાલે કહ્યું કે અમે લોકોના સૂચનો માંગ્યા હતા, અમને ૫ લાખથી વધુ સુચનો મળ્યા છે. તેના આધાર પર અમે કેન્દ્રને પ્રસ્તાવ મોકલીશું. કેન્દ્ર જે પણ નિર્ણય લેશે તેના આધાર પર અગામી સોમવારથી આર્થિક ગતિવિધિઓમાં છૂટ આપવામાં આવશે.
કેજરીવાલે જણાવ્યું કે મોટાભાગના લોકોએ ગરમીઓની રજાઓ સુધી સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાનો બંધ રાખવાની સૂચના આપી છે. મોટાભાગના લોકોએ કહ્યું કે માસ્ક ન પહેરનારાઓ અને સોશિયલ ડિસ્ટન્સિંગ ન રાખનારાઓ પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ. લોકોએ કહ્યું કે મેટ્રો સર્વિસમાં હાલ ખૂબ ઓછી છુટ આપવી જોઈએ.
કેજરીવાલના જણાવ્યા મુજબ ઘણાં લોકોએ હોટલ બંધ રાખવા, જોકે ખાવાનું લેવા અને હોમ ડિલીવરી માટે રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાનું સુચન કર્યું છે. એ વાત પર બધા એકમત છે કે હેર કટિંગ શોપ, સ્પા, સલૂન, સિનેમા હોલ અને સ્વિમિંગ પુલ હાલ પણ બંધ જ રહેવા જોઈએ. મોટાભાગના બજારોએ ઓડ-ઈવનના આધાર પર બજાર ખોલવાનું સુચન કર્યું છે.
કેજરીવાલે જણાવ્યું કે આજે સાંજે ૪ વાગે દિલ્હીના લેફ્ટિનન્ટ ગવર્નર અનિલ બૈજલ અને ડિઝાસ્ટર કમિટીની બેઠક પૂર્ણ થશે. લોકોના જે સુચનો મળ્યા છે, તેની પર મીટિંગમાં ચર્ચા પણ થશે. તેના આધાર પર કેન્દ્ર સરકારને સૂચનો મોકલવામાં આવશે.