![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/ઉનાવા-એપીએમસી-hed.jpg)
ઉનાવા એપીએમસી ખાતે તમાકુની આવકો ઘટી : ગત સપ્તાહે ૧૫ હજાર બોરીની આવકો નોધાઈ
સરેરાશ ભાવો ૨૪૦૦ થી ૨૫૦૦ રૂપિયા જ્યારે ગાળીયુ ૧૫૦૦ થી ૧૬૦૦ રૂપિયા જોવા મળ્યા
મે માસમાં આવકોમાં ઘટાડો નોંધાયો : ચોમાસામાં સુધી સીઝન ચાલશે
ઉનાવા એપીએમસી ખાતે તમાકુની આવકો ઘટી છે. ગત સપ્તાહે ૧૫ હજાર બોરીની આવકો રહેવા પામી છે. સરેરાશ ભાવ ૨૪૦૦ થી ૨૫૦૦ રૂપિયા રહ્યો છે. જ્યારે ગાળીયુ ૧૫૦૦ થી ૧૬૦૦ રૂપિયા જોવા મળ્યો હતો. આવકો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, સૌરાષ્ટ્ર, ખેડા, ચરોતર પંથકમાંથી આવી રહી છે. મે માસમાં આવકોમાં ઘટાડો નોંધાયો હતો. તમાકુની સીઝન એપ્રિલ થી જુન એમ ત્રણ માસનો ગાળો રહે છે. ખેતીવાડી બજાર સમિતિ ઉનાવામાં આવતા ખેડૂતો માટે માર્કેટ યાર્ડ તરફથી સસ્તા દરે સ્વાત્વીક ભોજનની વ્યવસ્થા કરાઈ છે. ઠેર ઠેર ખેડૂતો માટે પીવા માટે ઠંડા પાણીની પરબોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એપીએમસીમાં ખેડૂતોને સાચું તોલ મળી રહે તે માટે બજાર સમિતિ ઉનાવાનો પોતાનો કોમ્પ્યુટર વે-બ્રીજ બનાવવામાં આવેલ છે. તદ્દ ઉપરાંત કમીશન એજન્ટો પાસે કોમ્પ્યુટર કાંટા હોવાના કારણે સાચું તોલ મળી રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાવા માર્કેટ યાર્ડ નું સને ૧૯૯૦ માં નાયબ વડાપ્રધાન દેવીલાલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સને ૧૯૯૭ માં વિભાજન થઈ એપીએમસી ઉનાવાને અલગ દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ઉનાવા તરીકેની ઓળખ મળી હતી. સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી સને ૨૦૦૦-૨૦૦૧ માં તમાકુનો નિયંત્રિત જણસી માં સમાવેશ કરાયો. ત્યારબાદ ઉનાવા એપીએમસી સમગ્ર ગુજરાતનું પ્રથમ તમાકુ યાર્ડ બન્યું અને જાહેર હરાજી શરૂ કરવામાં આવી હતી.