![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/પાલનપુર-પંથકમાં-માવઠાથી-હેડ.jpg)
પાલનપુર પંથકમાં માવઠાથી બાજરી-પપૈયાના પાકને નુકસાન
બાજરી-પપૈયાના પાકનો સોથ વળી જતા લાખોનું નુકસાન: બનાસકાંઠામાં ભારે વરસાદ અને પવનથી ખેડૂતોના પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું અને વરસાદ થતાં ખેડૂતોના બાજરી તેમજ પપૈયા જેવા તૈયાર પાકોનો સોથ વળી ગયો હતો. જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ઠેરઠેર વાવાઝોડા સાથે વરસાદ થયો છે. ત્યારે બનાસકાંઠામાં પણ ગઈકાલે આવેલા ભારે વાવાઝોડા અને વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ફરી એકવાર ખેડૂતોનાં મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ધાણધા, જલોત્રા સહિતના ગામડાઓનાં ખેડૂતો પપૈયાની ખેતી કરી રહ્યા છે. અને બાજરીનું પણ વાવેતર કર્યું છે. ત્યારે ભારે પવન અને કરા સાથે પડેલા વરસાદે વિનાશ વેર્યો છે. અને ખેડૂતોના પપૈયા અને બાજરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ધાણધા ગામે લક્ષમણ ભાઈ પટેલે 12 હજાર થી વધુ પપૈયાના છોડ નું વાવેતર કર્યું હતું. ત્યારે વાવાઝોડા થી 7 હજાર થી વધુ છોડ નષ્ટ પામતા ખેડૂત ને 10 થી 12 લાખનું નુકશાન થયું છે.
છેલ્લા 12 મહિનાથી મહેનત કરીને પપૈયા નાં છોડ તૈયાર કર્યા હતા. અને હાલ માં જ્યારે પાક લેવાનો સમય આવ્યો ત્યારે વાવાઝોડા નાં કારણે તમામ પાક જમીનદોસ્ત થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. ખેડૂતો ફરી એકવાર કુદરત નાં કહેર સામે લાચાર બન્યા છે.