![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/ઉનાળાના-આકરા-તાપમાનમાં-હજુ-હેડ.jpg)
ઊંઝા તાલુકાના ભુણાવ ગામે ઓટડી વિસ્તારના કાચા નેળીયામાં એપ્રોચ રોડ બનાવવા રહિશોની માંગ
સી.એમ.ઓ ખાતે ઓનલાઇન અરજી કરવા છતાં કંઈ ન ઉપજ્યું
રહિશોની તાલુકા કચેરી ખાતે આમરણાંત ઉપવાસની ચિમકી ઉચ્ચારી: ઊંઝા તાલુકાના ભુણાવ ગામમાં આવેલ ઓટડી વિસ્તારમાં આશરે એક કિલોમીટર જેટલું કાચું નેળીયુ આવેલું છે. જેને એપ્રોચ રોડ બનાવવા બાબતે ભુણાવ ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયત અને ધારાસભ્યને જાણ કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ઓટડી સીમ વિસ્તારમાં આશરે ૬૦ થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. છેલ્લા ગણા વર્ષોથી કાચા નેળીયામાં થઈને આવવા જવાનો કાચો રસ્તો હોવાથી શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોને ખુબ જ તકલફો પડી રહી છે. તેમજ ત્યાં વસવાટ કરતા પરિવારોમાં કોઈપણ આકસ્મિક બીમાર થઇ જાય તો વાહન લઈ જવામાં ગણી મુશ્કેલીઓ પડી રહી છે.
વધુમાં ઓટડી વિસ્તાર ભુણાવ થી વાયા ટીમ્બાપુરા થી જગન્નાથપુરા રોડ તરફ જતા વચ્ચે કાચું નેળીયુ આવેલું છે. જેને એપ્રોચ રોડ બનાવવા માટે અવારનવાર સ્થાનિક ભુણાવ ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયત અને ધારાસભ્યને જાણ કરેલ છે. પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સીએમઓ ખાતે ઓનલાઇન અરજીઓ કરેલી છે. પરંતુ અરજી સંદર્ભે સંબંધિત અધિકારીઓએ ધ્યાન દોર્યું નથી. ચોમાસું દસ્તક દેવાની તૈયારીમાં છે ત્યારે વરસાદી માહોલમાં બાળકો અભ્યાસ કરવા કેવી રીતે જઈ શકશે. આકસ્મિક બીમાર થઇ જાય તો હોસ્પિટલ લઈ જવા બીજો કોઈ માર્ગ નથી. તો તાત્કાલિક ધોરણે આ બાબતે સત્વરે પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. જો આ સમસ્યાનું નિવારણ ઝડપી નહીં આવે તો અહીં વસાવાટ કરતા તમામ પરિવારો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી ખાતે, ગુજરાત મુખ્યમંત્રી, ગૃહમંત્રી સુધી આવેદનપત્ર આપવામાં આવશે. તેમજ તાલુકા કચેરી ખાતે આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.