ઐઠોરમાં ગણપતિ દાદાના સ્થાનકે સંકટ ચતુર્થીએ ભાવિક ભક્તો ઉમટ્યા
ઊંઝા નજીક આવેલ યાત્રાધામ તરીકે ઓળખાતા ઐઠોર ખાતે આવેલ સુપ્રસિદ્ધ ગણપતિ દાદાના મંદિરે સંકટ ચતુર્થી હોઈ ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. શ્રધ્ધાળુઓએ વિધ્નહર્તા ગણપતિ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરે વહેલી સવારથી દર્શન માટે શ્રધ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. દર્શનને આવનાર શ્રધ્ધાળુઓ માટે શ્રી ગણપતિ મંદિર સંસ્થા ઐઠોર દ્રારા ઉપવાસી ભક્તો માટે ચા પાણી અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત આજરોજ ગણપતિદાદાને રંગબેરંગી ફૂલોના શણગારથી સજ્જ કરવામાં આવ્યા હતા. દાદાના દર્શને દિવસે ને દિવસે શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે. દૂર દૂર થી આવનાર ભક્તો માટે બપોર અને સાંજે એમ બંને ટાઈમ જમવાની ઉત્તમ વ્યવસ્થા સંસ્થાના ભોજનાલયમાં ચાલી રહી છે. જ્યારે રાત્રી રોકાણ માટેની અદ્યતન સગવડ હોઈ ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત શ્રદ્ધાળુઓએ ફરાળ પ્રસાદનો લીધો હતો. ઐઠોર ગણપતિ મંદિર પ્રમુખ કે આજે સંકટ ચોથને લઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કર્યાં હતા. તેમજ ભકતો માટે ચા, પાણી, ફરાળ અને દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપવાસીઓએ ફરાળનો લાભ લીધો હતો.