પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું
સુરત શહેરને રવિવારે બે મોટી ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ હવે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. આ સાથે સુરત ડાયમંડ બુર્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પીએમ મોદીએ સભાને પણ સંબોધી હતી. તેમણે કહ્યું કે આજે ગુજરાતના સુરત શહેરની ભવ્યતામાં વધુ એક હીરાનો ઉમેરો થયો છે અને આ હીરા પણ નાનો નથી પરંતુ વિશ્વનો શ્રેષ્ઠ છે. જેની સામે દુનિયાની દરેક ઈમારતની ચમક ઝાંખી પડી ગઈ છે. PM એ કહ્યું કે સુરત ડાયમંડ બુર્સ નવા ભારતની તાકાત અને સંકલ્પનું પ્રતીક છે.
સુરત એરપોર્ટના નવા ટર્મિનલ અંગે પીએમએ કહ્યું કે તેઓ આ અદ્ભુત ટર્મિનલ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે દરેકને અભિનંદન પાઠવે છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારત આર્થિક શક્તિ તરીકે 10મા સ્થાનેથી ઉછળીને હવે 5મા સ્થાને પહોંચી ગયું છે. પીએમ મોદીએ કહ્યું કે તેમણે દેશને ખાતરી આપી છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ટોપ-3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે.
તમને જણાવી દઈએ કે સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ પીક અવર્સ દરમિયાન 1,200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવામાં સક્ષમ છે. ટર્મિનલમાં 3,000 મુસાફરોની ક્ષમતા વધારવાની પણ જોગવાઈ છે. આ સિવાય મુસાફરોને હેન્ડલ કરવાની વાર્ષિક ક્ષમતા પણ વધી છે જે હવે 55 લાખ સુધી પહોંચી ગઈ છે. એરપોર્ટ પાર્કિંગમાં એક સાથે 500 કાર પાર્ક કરવાની પણ સુવિધા છે.
સુરત ડાયમંડ બુર્સની વાત કરીએ તો, આ બિલ્ડિંગ 67 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં બનાવવામાં આવી છે, જે હીરાના વેપાર માટે વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે. સુરત શહેરના ખાજોદ ગામમાં ડાયમંડ બુર્સ બનાવવામાં આવ્યો છે. ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ હીરાના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. તેની કિંમત 3200 કરોડ રૂપિયા છે. જેમાં 4500 ઓફિસ બનાવવામાં આવી છે.