વડોદરા ખાતેના આત્મીય પોઝીટીવ કેર-પોસ્ટ કોવિડ સેન્ટરનો મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ પ્રારંભ
તમામના પરિશ્રમના પરિણામે છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં કોરોના કેસ સ્ટેબલ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસ સ્ટેબલ થયા છે. ગઈકાલે ગુજરાતમાં 12,500 નવા કેસ સામે 13,800 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે જે આપણા સૌ માટે ખૂબ જ રાહતના સમાચાર છે.
કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા 41 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી છે. કોરોના સામે લડવા છેલ્લા દોઢ માસમાં ગુજરાતમાં 2 લાખ 75 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના સઘન પગલાં તેમજ કોરોના વોરિયર્સની દિવસ- રાત મહેનત અને લોકોના સહકાર- જાગૃતિના પરિણામે ગુજરાત કોરોનાની બીજી લહેરમાં પણ ધીમે ધીમે મક્કમતાથી બહાર આવી રહ્યું છે
તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરથી જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે આજે આત્મીયધામ- વડોદરા ખાતે આત્મીય પોઝિટિવ કેર- પોસ્ટ કોવિડ સેન્ટરનો ગાંધીનગરથી ઇ-પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, નવા નવા ઓક્સિજન પ્લાન્ટ પણ સ્થાપવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત છેલ્લા એક માસના ગાળામાં ગુજરાતની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે રાજ્ય સરકારે 7 લાખથી વધુ રેમડેસિવર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવીને દર્દીઓને સુવિધા પુરી પાડી છે જેના પરિણામે આજે ગુજરાતમાં કોરોનાના નવા કેસ કરતાં વધુ દર્દી સાજા થઈને ઘરે જઈ રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ સંતોના આર્શીવાદ સાથે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાત કોરોનાથી ત્રીજી લહેર માટે અત્યારથી સજ્જ થઈ રહ્યું છે.
જેના ભાગરૂપે નવા નવા ઓક્સિજન પ્લાન્ટ સહિત જરૂરી વ્યવસ્થાઓ વિકસાવાઇ રહી છે. આપણે વ્યથા નહી વ્યવસ્થા સાથે આગળ વધી રહ્યા છીએ એટલે કોરોના સામેનો જંગ આપણે જીતી રહ્યા છીએ. સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટેલે આત્મીય પોઝિટિવ કેર સેન્ટર શરૂ કરવા બદલ સંતશ્રીઓ અને યોગી ડિવાઇન સોસાયટીનો આભાર માન્યો હતો.
પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ આત્મીય પોઝિટિવ કેરની કામગીરીની રૂપરેખા આપીને સૌને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે વડોદરાના મેયર કેયુરભાઇ રોકડીયા, ઓએસડી ડો. વિનોદ રાવ, ભાજપના મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પૂજ્ય સંતગણ અને ભક્તો ઓનલાઇનના માધ્યમથી સહભાગી થયા હતા.