વેક્સિન લેનારના વેરા માફ કરવાની મોટી જાહેરાત કરતું કચ્છનું મોટા આંગિયા ગામ
ભારતમાં હાલ કોરોના વધતા સંક્રમણ વચ્ચે કોરોના પ્રતિરોધક રસીનું રસીકરણ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. વધુને વધુ લોકો કોરોના સામે સુરક્ષિત બને તે માટે સરકાર હાલ નિઃશુલ્ક રસી મૂકી રહી છે. જો કે, તેમ છતા કચ્છના નાના એવા મોટા આંગિયા ગામે રસીકરણને લઈ લોકો જાગૃત બને તે માટે નવતર પહેલ કરી છે. મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા ગામનો જે સમગ્ર પરિવાર રસી મુકાવશે તેને વર્ષ 2021-22માં ગ્રામ પંચાયતના તમામ વેરામાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે.
પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલા મોટા આંગિયા ગામે કોરોના સંક્રમણને અટકાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા વેરા માફીના પગલાં લઈ સમગ્ર રાજ્યમાં ગામે એક નવો રાહ ચીંધ્યો છે. રાજ્યની ગ્રામ પંચાયતને કોરોના અટકાવ માટે “મારુ ગામ કોરોના મુક્ત ગામ” બનાવવાના પ્રયાસના ભાગરુપે કચ્છના નખત્રાણા તાલુકાના મોટા આંગિયા ગામે નિર્ણય જાહેર કર્યો હતો. અંદાજિત 1500ની વસ્તી ધરાવતા આ ગામની પંચાયત દ્વારા જે પરિવાર રસીના બંને ડોઝ મુકાવશે, તે પરિવાર માટે વર્ષ 2020- 21 હિસાબી વર્ષના અંતે તમામ વેરા માફ કરવામાં આવશે. જેના કારણે ગામમાં રસીકરણના કાર્યમાં તેજી આવી ગઈ છે.
‘વેરામાફીથી પંચાયતને નુકસાન નહીં ફાયદો!’
વેરા માફીથી પંચાયતને કેટલુ નુકસાન જશે ? તેના પ્રત્યુત્તરમાં ઈકબાલભાઈએ કહ્યું કે વાસ્તવમાં આ ફાયદાની વાત છે. જેટલા લોકો રસી લેશે, એટલા ઓછા બીમાર પડશે. બાકી પંચાયતે વિકાસ કાર્યના ફંડમાંથી બચેલી રકમનું સ્વભંડોળ ફંડ રાખેલું છે. તેના દ્વારા ગામના વિકાસ કાર્યો થઈ રહ્યા છે. અને આગામી સમયમાં પણ થતા રહેશે. તેથી સરવાળે પંચાયતને કોઈ નુકશાની જતી નથી. સામાન્યરીતે મકાન, લાઈટ, પાણી અને સફાઈ વેરો મળી એક પરિવાર દીઠ વાર્ષિક 6 હજાર જેટલી રકમ પંચાયતને વેરા સ્વરૂપે મળતી હોય છે . તેથી અંદાજિત વેરા માફીના કારણે એકાદ લાખ જેવી આવક પંચાયત જતી કરશે. જેની સામે ગામની લોકોનું આરોગ્ય સારુ રહેશે.
ગામમાં કોરોના વિશે સ્થાનિક લોકોને પૂછતા વેપારી પરેશભાઈ શાહે કહ્યું હતું કે જે રીતની મહામારી હાલ ચાલી રહી છે તે જોતા મોટા આંગિયામાં જે રીતે વિસ્તારોમાં સેનેટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે. તે અત્યારની પરિસ્થિતિને અનુલક્ષીને ઉત્તમ કાર્ય ગણી શકાય. તેના સિવાય પંચાયત દ્વારા બનાવવામાં આવેલું કોરન્ટાઇન સેન્ટર છે. ખુબ આવકારદાયક છે. ગામના ઉપ સરપંચ કલાભાઈ રબારીએ પણ કોરોના માટે થઈ રહેલી કામગીરીમાં સહયોગ આપવાની વાત કરી હતી. તેમને ગ્રામજનોના લાભાર્થે થતી કામગીરીમાં તમામ લોકો એક સંપથી જોડાયા હોવાની વાત કરી હતી.