વારંવાર આરટીપીસીઆર ટેસ્ટ જરૂરી નથી, પોઝિટીવ આવ્યા બાદ ફરી નહીં કરાવો
કોરોના સંક્રમિત થયેલા દર્દીએ એક વખત આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા પછી બીજી વખત ટેસ્ટ કરાવવાની જરૂરિયાત હોતી નથી. આ દર્દીઓએ વારંવાર ટેસ્ટ કરાવવા ન જોઇએ. એટલું જ નહીં, જે દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હોય તેમની પાસેથી રિપોર્ટ માગવો પણ ન જોઇએ.
અમદાવાદ મેડીકલ એસોસિયેશનના સ્ટેટ કોઓર્ડિનેટર ડો. મુકેશ મહેશ્વરીએ દર્દીઓને વિનંતી કરી છે કે એક વખત આરટીપીસીઆર પોઝિટીવ આવી ગયા પછી કોરોનાની સારવારમાંથી સાજા થયેલા દર્દીએ ફરીથી આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર હોતી નથી. આમ કરવાથી લેબોરેટરી પરનું ભારણ પણ ઓછું થશે અને બીજા લોકોને તેનો લાભ મળી શકશે.
સામાન્ય રીતે કોરોના પોઝિટીવ પછી સારવાર લીધા બાદ પ્રત્યેક દર્દી નિયત દિવસો પછી ફરીથી આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા હોય છે. લેબોરેટરીનું ભારણ વધે નહીં તે માટે દર્દીઓએ જો તંદુરસ્તી સારી હોય તો ટેસ્ટ કરાવવો જોઇએ નહીં. એટલું જ નહીં, દર્દીની સારવાર કરતા ડોક્ટરોએ ફરીથી ટેસ્ટની ભલામણ કરવી જોઇએ નહીં.
દર્દીઓ ફરીથી જ્યારે ટેસ્ટ કરાવે છે ત્યારે જેમનો પહેલીવાર આરટીપીસીઆર કરવાનો હોય છે તેમના લેબોરેટરીના પરિણામ મોડા આવે છે તેથી તેમની સારવારમાં વિલંબ થાય છે. આઇસીએમઆરની પણ સ્પષ્ટ ગાઇડલાઇન છે કે કોરોના ડિસ્ચાર્જ લીધા પછી ફરીથી આરટીપીસીઆર ફરીથી કરાવવો નહીં. ગુજરાતમાં પ્રતિદિન દોઢ લાખથી વધુ લોકો કોરોના સંક્રમણ છે કે નહીં તે જોવા માટે ટેસ્ટ કરાવે છે પરિણામે મર્યિદિત લેબ હોવાથી લોકોના રિપોર્ટમાં ખૂબ વિલંબ થાય છે.
ગાંધીનગરમાં એક મહિલાએ સરકારી સેન્ટર પર આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો જેનું પરિણામ તેણીને સાત દિવસે મળ્યું હતું. આ મહિલાનો રિપોર્ટ સાત દિવસ પછી પોઝિટીવ આવ્યો હતો પરંતુ તે મહિલા અગાઉ સારવાર લઇને સાજાં થઇ ગયા હતા. સાત દિવસ પછી આવેલા રિપોર્ટની કોઇ વેલ્યુ રહેતી નથી. આરટીપીસીઆર ટેસ્ટમાં હવે ઘણો વિલંબ થઇ રહ્યો હોવાથી અમદાવાદ મેડીકલ એસોસિયેશને લોકોને આવી અપીલ કરી છે.