એસ.ટી.માં સંચાલનમાં મૂકાનાર BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 101 બસનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ
ગુજરાત એસ.ટી.માં પ્રદૂષણ રહિત 1000 બસ દોડતી થશે : પ્રથમ તબકકામાં રાજકોટને ફાળવાશે 6 સર્વિસો
ગુજરાત સરકારની સહાયથી રાજયના એસટી વિભાગમાં સૌ પ્રથમવાર બીએસ-6 એમિશન નોર્મ્સ ધરાવતી 1000 બસ સંચાલનમાં મુકવામાં આવનાર છે. જેમાં પ્રથમ તબકકામાં 101 બસનું ઇ-લોકાર્પણ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી કરવામાં આવેલ હતુ.
આ ઇ-લોકાર્પણના કાર્યક્રમમાં ગાંધીનગર ખાતે રાજયના વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ તથા મેયર બીનાબેન કોઠારી ભરુચ ખાતે વાહન વ્યવહાર રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલ ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર વિભાગના એસીએસ કમલ દયાની, જી.એસ.આર.ટી.સી.ના એમડી એસ.જે. હૈદર તથા અમદાવાદ ખાતે એસટી વિભાગના મધ્યસ્થ કાર્યાલય ખાતે અધીકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
પ્રદુષણમાં ઘટાડો થાય અને મુસાફરોને આરામદાયક મુસાફરીની સુવીધા મળી રહે તે માટે એસટી વિભાગ માટે બીએસ6 એમિશન નોર્મ્સ ધરાવતી આ બસ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ તબકકામાં જે 101 બસનું ઇ-લોકાર્પણ કરવામાં આવેલ જેમાંથી અંદાજે છ જેટલી આ નવી બસ સંભવત આગામી સપ્તાહ સુધીમાં રાજકોટ આવી પહોંચશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે એસટી વિભાગ 8 લાખ કીમી અને ખખડધજ બનેલી બસોને સ્ક્રેપમાં મોકલવી તેવો નિયમ છે. આગામી સમયમાં 1000 જેટલી બીએસ-6 એમિશન નોર્મ્સ ધરાવતી બસો એસટીમાં દોડતી જઇ જશે. જેના પગલે ઉતારૂઓની સુવિધામાં વધારો થશે.