કોરોનાના દર્દીઓ પાછળ વિવિધ સમાજ સહિત 70 સંસ્થાઓએ 40 કરોડનો ખર્ચો કર્યો
કોરોનાના કારણે થોડા દિવસો પહેલા શહેરની હોસ્પિટલોમાં દર્દીઓને બેડ ન્હોતા મળી રહ્યા ત્યારે વિવિધ સમાજના આગેવાનો આગળ આવ્યા હતાં અને કોવિડ આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરી હતી. છેલ્લા એક મહિના દરમિયાન 33થી વધુ આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા હતા. જેમાંથી હાલ 26 આઇસોલેશન સેન્ટર વિવિધ ઝોનમાં કાર્યરત છે.આ આઇસોલેશન સેન્ટરમાં અત્યાર સુધીમાં 5500 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે. જેમની પાછળ 70થી વધુ સંસ્થાઓએ 40 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.
અત્યાર સુધી કુલ 4800થી વધુ દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. જ્યારે 527 દર્દીઓ સારવાર હેઠળ છે. સંસ્થાઓને સૌથી વધારે ખર્ચ ઓક્સિજનના બોટલની રિફિલિંગમાં થાય છે. સુરતની સેવા સંસ્થા 52 સંસ્થાઓની મદદથી શહેરમાં 14 આઇસોલેશન સેન્ટર ચલાવી રહી છે. એમના આઇસોલેશન સેન્ટરમાં 700 જેટલા બેડ છે. જેમાંથી અત્યાર સુધીમાં 4000થી વધુ દર્દીઓ સારવાર લઇ ચૂક્યા છે. તેમજ 300 જેટલા દર્દી સારવાર લઈ રહ્યા છે. સેવા સંસ્થાના વિપુલ બુહાએ જણાવ્યુ હતું કે,‘આઇસોલેશન સેન્ટરમાં એક દર્દી પાછળ દિવસ દીઠ 4થી 5 હજારનો ખર્ચ થાય છે. સંસ્થા છેલ્લા એક મહિનાથી વધુ સમયથી આ સેન્ટર ચલાવે છે.’