મંદિરના બે ગેટ બંધ કરાયાં, દર્શનાર્થીઓને મુખ્ય શક્તિદ્વારથી પ્રવેશ અપાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યાત્રાધામ અંબાજી ખાતે પહોંચશે. જ્યાં માર્ગ પર રોડ શો અને ત્યાર બાદ જંગી સભા સહીત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સુરક્ષાના કારણોને લઇને પણ વડગામ તાલુકાના હાતાવાડા હેલિપેડથી માડી યાત્રાધામ અંબાજી, સભા સ્થળ ચીખલા, અને મંદિરથી શક્તિપીઠ ગબ્બર સુધી અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.પીએમ મોદી વડગામના હાતાવાડા ખાતે હેલી પેડ પર ઉતરી સડક માર્ગે સભા સ્થળ સુધી પહોંચશે.
જ્યાં માર્ગ પર પ્રથમ મોટાસડા, મહોબત ગઢ, વેલ વાડા, પુંજપુર, રતનપુર, દાંતા, પીપળાવાળી વાવ, ધાબાવાળી વાવ, પાન્સા અને અંબાજી પ્રવેશ દ્વારે સ્વાગત પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં ભાજપ કાર્યકરો અને ગ્રામજનો વડાપ્રધાનને સત્કારવા ઉભા રહેશે. ઉપરાંત સુરક્ષાના કારણોસર છેલ્લા ચાર દિવસથી ખાસ સુરક્ષા, એસપીજીના અન્ડરમાં લઇ લેવામાં આવ્યું છે. જ્યાં ગુરુવારે મંદિરનો 8 અને 9 નંબરના ગેટને બંધ કરવામાં આવ્યા છે. જ્યારે સાત નંબરના દ્વારથી માત્ર પાસ ધરાવતા કર્મચારીઓને પ્રવેશ અપાઇ રહ્યો છે.
જોકે શુક્રવારે સવારે આઠ વાગેથી તે પણ ખાસ સુરક્ષા કર્મીઓની તહેનાતી નીચે આવશે તેવું જાણવા મળ્યું છે. તેમજ મંદિર દર્શનાર્થીઓ માટે મુખ્ય શક્તિ દ્વારથી જ પ્રવેશ આપવામાં આવશે. અંબાજીમાં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ ₹7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.