અંબાજી પોલીસ સામેના આક્ષેપો અંગે જિલ્લા પોલીસ વડાના તપાસના આદેશ
રખેવાળ ન્યૂઝ પાલનપુર : યાત્રાધામ અંબાજી પોલીસ પર થયેલા ગંભીર આક્ષેપો મામલે જિલ્લા પોલીસ અધિક્ષકે તપાસના આદેશ આપ્યા છે. જોકે, પ્રાથમિક તપાસમાં આક્ષેપોમાં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો હોવાનું એસ.પી.એ જણાવ્યું હતું.
યાત્રાધામ અંબાજીમાં ગઈકાલે પ્રસુતા મહિલાની ગાડી રોકી તેના કારણે તેનું બાળક મોતને ભેટયુ તેવા આક્ષેપ સાથે બાળકની લાશ લઇ પરીવારજનો અંબાજી પોલીસ મથકે પહોંચ્યા હતા. જે મામલે જિલ્લા પોલીસ અધિક્ષકે ગંભીરતા દાખવી આજે તપાસના આદેશ આપ્યા હતા. અંબાજી ખાતે રહેતા રાધાબેન દેસાઈને પ્રસૂતિની પીડા ઉપડતાં તેમના પરિવારજનો દ્વારા ગાડીમાં લઇ દવાખાને જઈ રહ્યા હતા. જે દરમિયાન અંબાજીની ખોડીવડલી પોલીસ ચોકી પોલીસે ગાડી રોકાવી માસ્ક ન પહેરવા બદલ પાવતી ફાડવાની વાત કરતાં વાત બગડી હતી. જે બાદ પ્રસૂતા મહિલાને પીડા હોવા છતાં તે ગાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી તેઓ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસે માસ્ક ન પહેરવાનું કારણ આપી પોલીસે તેમને રોકી રાખ્યા અને તે જ કારણે સગર્ભા મહિલાનું બાળક તેના પેટમાં જ મોતન ભેટયો. જે મામલો ઉગ્ર બનતા જિલ્લા પોલીસ અધિક્ષકે ડીવાયએસપી ને તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલે સીસીટીવી ફુટેજ તેમજ પીડિત અને હોસ્પિટલના કર્મચારીઓના નિવેદન લઇ આક્ષેપ માં સત્યતા કેટલી છે તે મામલે તપાસ હાથ ધરાઈ છે. જોકે, અરજદારના આક્ષેપો અને સીસીટીવી ફૂટેજ સહિતના અન્ય આધાર પુરાવા તથા નિવેદનો જોતા પ્રથમ દ્રષ્ટિએ ભારે વિસંગતતા જોવા મળી રહી છે. આમ છતાં બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ નું સ્પષ્ટ કહેવું છે કે ઘટના ગંભીર છે. તપાસ રિપોર્ટમાં જે પણ દોષિત થશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.