ભાજપે ૮ વિધાનસભા બેઠક માટે બે-બે ઈન્ચાર્જની નિમણૂંક કરી
ગાંધીનગર: આગામી સમયમાં યોજાનારી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓના સંદર્ભમાં ભારતીય જનતા પક્ષ દ્વારા તમામ બેઠકો માટે સરકારમાંથી એક મંત્રી અને સંગઠનમાંથી એક હોદ્દેદાર એમ બેઠક દીઠ બે-બે ઇન્ચાર્જોની નિમણૂક કરવામાં આવી હતી. આ અંગેની જાહેરાત પક્ષ દ્વારા સોમવારે ગાંધીનગરમાં પક્ષના વડા મથક શ્રી કમલમ ખાતે યોજાયેલી બેઠક બાદ કરવામાં આવી હતી. સોમવારે ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ, ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કોર ગ્રુપ, પ્રદેશમાં મહામંત્રીઓ અને પ્રદેશ અગ્રણીઓની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. આજની આ બેઠકમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીશજી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે આજની આ બેઠકમાં વિધાનસભા પેટા ચૂંટણીઓ અંગેની વ્યવસ્થા અને પૂર્વતૈયારી અંગેનું પ્રદેશ સ્તરેથી સંકલન પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી કરશે.