સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં રૂ.૧૬૬ લાખના વિકાસ કામોનું કેબીનેટ મંત્રી એ ખાતમુર્હુત કર્યું
વિકાસના કાર્યોના ખાતમુર્હુતથી આવનાર દિવસોમાં સિદ્ધપુરની કાયાપલટ થશે : કેબિનેટ મંત્રી
પાટણ જિલ્લામાં વિવિધ વિકાસનો કાર્યો ઝડપથી આગળ ધપી રહ્યા છે ત્યારે તે દિશામાં શનિવારે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને પાટણ લોકસભા સંસદ સભ્ય ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂ.૧૬૬ લાખના વિકાસ કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે,સિદ્ધપુરમાં ૧ કરોડ ૬૬ લાખના વિકાસના કાર્યોના ખાતમુર્હુત થવાથી આવનાર સમયમાં સિદ્ધપુરની કાયાપલટ થશે. આજના શુભ પ્રસંગે લોકહિતના કાર્યોને સમયસર પૂરા કરીને નગરજનોને ઉપયોગી થવા બદલ સિદ્ધપુર નગરપાલિકાની પૂરી ટીમને દિલથી શુભેચ્છા પાઠવી કેન્દ્ર સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પાટણ લોકસભા સંસદ સભ્ય ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું, કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિથી દેશનું નામ વિશ્વમાં રોશન થઈ રહ્યું છે. તેઓની દીર્ઘદ્રષ્ટિને લીધે ઉત્તર ગુજરાતમાં કેનાલ આવતા આ વિસ્તારમાં સમૃદ્ધિ પણ આવી છે. આનો લાભ છેવાડાના માનવીને મળી રહ્યો છે.
આ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સંસદ સભ્ય દિનેશભાઈ અનાવાડિયા, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનીતાબેન પટેલ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, ધી ખેતીવાડી ઉત્પન્નબજાર સમિતિ ચેરમેન વિષ્ણુભાઈ પટેલ,સંગઠનનાં હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં સિદ્ધપુરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.