સમી તાલુકાના છેવાડાના ગામો સુધી સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચ્યા ન હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે. સોમવારે અંતરિયાળ ગામોના ખેડૂતો પાટણ ખાતે નર્મદા નિગમની કચેરીમાં પાણીની માગણી માટે દોડી આવ્યા હતા પાણી નહીં મળે તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
વરસાદના અભાવે ખેડૂતોને ચોમાસુ ખેતી નિષ્ફળ નીવડી છે પરંતુ હવે રવિ સિઝન શરૂ થતા ખેડૂતોએ જીરા સહિતના પાકોના વાવેતર કરી દીધા છે પરંતુ અમરાપુર બ્રાન્ચ અને માઈનોર કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા સમી પંથકના અમરાપુર, સુખપુરા, અદગામ, વેડ હરીપુરા, લાલપુર, સુખપુરા, બાદરગંજ અને અમરાપુર સહિતના અંતરિયાળ ગામો સુધી હજુ સુધી પાણી આવ્યા ન હોવાથી ખેડૂતોનું જીરાનું વાવેતર નિષ્ફળ નીવડે તેવી સ્થિતિ સર્જાઈ છે તેમજ સમયસર પાણી ન મળે તો આ સીઝન પણ ખેડૂતોને નિષ્ફળ જાય તેમ છે ત્યારે સોમવારે અમરાપુરના ખેડૂત અગ્રણી ચંદ્રકાંતભાઈ જોશી, નારણભાઈ ડાભી, વિરમભાઇ ઠાકોર વેડના હીરાજી ઠાકોર, સુખપુરાના શોભાજી ઠાકોર સહિતના ખેડૂતો પાટણ નર્મદા નિગમની કચેરી ખાતે દોડી આવ્યા હતા અને પાણી માટેની માગણી કરી હતી.
અમરાપુરના ખેડૂત ચંદ્રકાંતભાઈ જોશીએ જણાવ્યું કે સરકારે 12 નવેમ્બર સુધી પાણી છોડવા માટેની જાહેરાત કરી હતી. જેને પગલે આ વિસ્તારના ખેડૂતોએ જીરાનું વાવેતર કરી ખાતર નાખી દીધા છે પરંતુ હવે સિંચાઈ માટે પાણી ન મળતા વાવેતર નિષ્ફળ નીવડે તેવી સ્થિતિ છે ઉપરાંત પાણી વગર દિવેલાનો પાક પણ નિષ્ફળ નીવડ્યો છે.