રાજસ્થાન : ગેહલોત ગેલમાં, પાઇલોટ સહિત બળવાખોરો આઉટ
જયપુર : કોંગ્રેસ પાર્ટીએ સખત વલણ અપનાવીને આજે સચીન પાઈલટને રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન પદેથી તેમજ રાજ્યના પાર્ટી પ્રમુખ પદેથી બરતરફ કરી દીધા છે. પાઈલટની સાથે રાજસ્થાનમાં બે અન્ય પ્રધાનને પણ બરતરફ કરવામાં આવ્યા છે. આ બંને પ્રધાન છે – વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણા. આ બંને પ્રધાને મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સામે બળવો કર્યો હતો અને કેબિનેટમાંથી બરતરફ કરાયેલા પાઈલટને ટેકો આપ્યો હતો.
સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યાં છે. જેમની જગ્યાએ ગોવિંદ સિંહ ડોટા સારાને રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને પણ મંત્રીમંડળથી બરતરફ કરાયા છે. તેઓ પાઈલટ જૂથના છે. કોંગ્રેસના અનેક નેતાઓએ પાયલટને મનાવવાની ખુબ કોશિશ કરી પરંતુ તેઓ ન માન્યાં. આખરે ત્યારબાદ કોંગ્રેસ હાઈ કમાન્ડે નિર્ણય લીધો. સુરજેવાલાએ આ જાહેરાત કરતી વખતે પાયલટ પ્રત્યે ખુબ નારાજગી વ્યક્ત કરી અને જતાવી દીધુ કે પાર્ટીએ પાયલટને મનાવવામાં કોઈ કસર બાકી રાખી ન હતી.