પાઉલો કોએલોએ શાહરુખ ખાનની ફિલ્મ ‘કામયાબ’ના વખાણ કર્યાં, એક્ટરે કહ્યું- ફિલ્મ દિલને સ્પર્શી ગઈ હતી
મુંબઈ. જાણીતી નોવેલ ‘ધ અલકેમિસ્ટ’ના ઓથર પાઉલો કોએલો ડિસોઝાએ હાલમાં જ ટ્વીટ કરીને શાહરુખ ખાનની ફિલ્મ ‘કામયાબ’ના વખાણ કર્યાં હતાં. આ ફિલ્મમાં સંજય મિશ્રા લીડ રોલમાં છે.
પાઉલો કોએલોએ ટ્વીટ કરીને કહ્યું હતું, ફિલ્મે પહેલી જ ફ્રેમમાં શાહરુખ ખાનનો આભાર વ્યક્ત કર્યો હતો. હું પણ કંઈક એવું જ કરી રહ્યો છું. બે દિવસ પહેલાં એક બ્રાઝિલિયન એક્ટર ફ્લાવીઓએ આત્મહત્યા કરી લીધી હતી. તેમણે સુસાઈડ નોટમાં કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રી સ્ટાર્સ સાથે કેવો વ્યવહાર કરતી હતી. જે ફિલ્મને કોમેડી કહેવામાં આવી છે, તે રિયલમાં ટ્રેજડી ઓફ આર્ટ છે. ઉલ્લેખનીય છે કે બ્રાઝિલિયન એક્ટર ફ્લાવીઓએ ચાર મેના રોજ પોતાના અપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી.
પાઉલોની ટ્વીટ પર શાહરુખે જવાબ આપ્યો હતો, ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ જોઈ હતી અને રેડ ચિલીઝની આખી ટીમને આ ફિલ્મ સ્પર્શી ગઈ હતી. આ કડવું સત્ય છે કે કેરેક્ટર એક્ટર ભૂલાઈ ગયા છે. મારા મિત્ર તમારું ધ્યાન રાખજો, સલામત રહો, સ્વસ્થ રહો.
હાર્દિક મહેતાના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘કામયાબ’ કેરેક્ટર એક્ટર્સ પર આાધારિત છે. આ ફિલ્મમાં કેરેક્ટર એક્ટર્સના જીવનમાં આવતા સંઘર્ષ તથા ચઢાવ-ઉતારની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં સંજય મિશ્રા ઉપરાંત દિપક ડોબરિયા તથા સરિસ્કા સિંહ જેવા કલાકારો છે. આ ફિલ્મને ક્રિટિક્સે ઘણી જ વખાણી હતી. ફિલ્મને શાહરુખ ખાનની હોમ પ્રોડક્શન ફિલ્મ રેડ ચિલીઝે પ્રોડ્યૂસ કરી હતી