કોરોના કાળમાં ગુજરાતની કંપનીઓએ CSR પાછળ ખર્ચ 30%થી વધુ ઘટાડ્યો
ગુજરાતી બિઝનેસમેન માત્ર કમાણી કરવામાં જ નહિં પરંતુ જરૂરીયાતમંદ લોકોને મદદ કરવામાં પણ આગળ પડતું સ્થાન ધરાવે છે. જોકે, કોરોના મહામારીના કારણે મોટા ભાગની કંપનીઓને આર્થિક સંક્રમણનો સામનો કરવો પડ્યો છે જેના કારણે સીએસઆર હેઠળ થતા ખર્ચમાં ગતવર્ષની તુલનાએ 30 ટકાથી વધુ ખર્ચ પર કાપ મુક્યો છે. ગુજરાતની કોર્પોરેટ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષે અંદાજે 600 કરોડનો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સીએસઆર એક્ટિવિટીમાં ખર્ચ કરવાનો અંદાજ છે જે અગાઉના વર્ષે એટલે કે 2018-19માં 896 કરોડનો ખર્ચ કર્યો હતો.
સામાન્ય વર્ષોમાં ગુજરાતની કંપનીઓ સીએસઆર એક્ટિવિટી પાછળ ખર્ચ કરવામાં અન્ય રાજ્યોની તુલનાએ આગળ પડતું સ્થાન ધરાવ્યું છે. ગુજરાતના ટોચના સેક્ટર જેવા કે લાર્જ રિફાઇનરી, ફાર્મા, મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ, ફુડ કંપનીઓનો સૌથી વધુ હિસ્સો સીએસઆર એક્ટિવિટીમાં જોવા મળ્યો છે. કોરોના સમયમાં સરેરાશ ત્રણ માસ લોકડાઉનની સ્થિતિમાં કંપનીઓને આર્થિક સંક્રમણનો સામનો કરવો પડ્યો છે છતાં ગુજરાતની 2500થી વધુ કોર્પોરેટ કંપનીઓ દ્વારા સીએસઆર એક્ટિવિટી કરવામાં આવી છે.
પહેલી એપ્રિલ 2014 ના રોજ કંપની એક્ટના અમલ સાથે ભારત કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) ફરજિયાત બનાવનાર પ્રથમ દેશ બન્યો. આ નિયમ મોટી કંપનીઓએ છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ નફાના ઓછામાં ઓછા 2% ખર્ચ કરવાની જરૂર છે. 2019 સુધીમાં દેશમાં સીએસઆર એક્ટિવિટી મુજબ કુલ એક લાખ કરોડનું ફંડ એકત્ર કરવામાં આવ્યું જેમાંથી સરેરાશ 50 ટકા એટલે કે 50000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સીએસઆર એક્ટિવિટીમાં મહારાષ્ટ્ર ટોચનું રાજ્ય છે જ્યારે ગુજરાત ચોથા ક્રમે રહ્યું છે.
કોવિડ સમયમાં સૌથી વધુ મેડિકલ સેગમેન્ટમાં ફાળવણી: કોરોના મહામારીમાં સીએસઆર એક્ટિવિટી સૌથી વધુ મેડિકલ સેગમેન્ટમાં કરવામાં આવી છે. હોસ્પિટલ, મેડિકલ ઇક્વિપમેન્ટ, ફાર્માસ્યુટીકલ્સ, પીપીઇ મેન્યુફેક્ચરીંગ કંપની ફુડ બેવરેજીસ, પીએમ તથા સીએમ કેર ફંડમાં સૌથી વધુ ફંડ પુરૂ પાડવામાં આવ્યું છે. કંપની દ્વારા સરેરાશ 3.25 કરોડથી વધુના ફંડ સીએસઆર એક્ટિવિટી પાછળ ખર્ચ કરવામાં આવ્યો હોવાનું ઇન્ગરસોલ-રેન્ડ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન એમડી અમર કૌલે જણાવ્યું હતું.