પાટણ શહેરના હિંગળાચાચર વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયો ખુલ્લા મુકાયા
ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે.પાટણ ડીએસપી કચેરી સામે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.ત્યારે વધુ એક કાર્યાલય પાટણ શહેરના હિંગળાચાચર વિસ્તારમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે. પાટણ વિધાનસભા ભાજપ ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈના વરદ હસ્તે કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડો.કિરીટ પટેલના મધ્યસ્થ કાર્યાલયનો પણ શહેરના હિગળા ચાચર ચોક ખાતે દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ,પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ,હેમંતભાઈ તન્ના,કોર્પોરેટર મનોજભાઈ પટેલ સહિત નગરપાલિકાના કોર્પોરેટરો અને શહેર ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પણ વિધાનસભા મીડિયા ઇન્ચાર્જ ગોવિંદ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ વિધાનસભા બેઠક નાં ઉમેદવાર ડો.કિરીટ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ચુંટણી સમયે કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કામ કરી અંદરો અંદર વિખવાદ ઉભા કરવાનું કામ કરશે અને પોતાની સરકાર હોવાનો ડર બતાવી લોકો ને ડરાવવાનો પ્રયાસ કરશે પણ ભાજપના લોકો એટલું સમજી લે કે જો કોઈ કોંગ્રેસ નાં કાયૅકર ને દબાવવાની કે ધમકાવવાની કોશિશ કરી છે તો તેનું પરિણામ ભોગવવા પણ તૈયારી રાખે તેમ જણાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી મતદાન કરી કોંગ્રેસના પંજાને વિજય બનાવવા આહ્વાન કર્યું હતું. પાટણ વિધાનસભા બેઠક નાં કોંગ્રેસ નાં ઉમેદવાર ડો.કિરીટ પટેલ નાં મધ્યસ્થ કાર્યાલય નાં શુભારંભ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને પાટણના સુજ્ઞ મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડો.કિરીટ પટેલ ની જીત નક્કી હોવાનો નિધૉર વ્યક્ત કર્યો હતો.