મમતા બેનર્જી હવે ઇન્ડિયા ગઠબંધનથી દૂર રહેવા માગે છે તો તેમના નિર્ણયનો અમે સ્વાગત કરીશું
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર સતત હુમલાઓ વચ્ચે ડાબેરી પક્ષોના નેતાઓ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા. આ પછી તેમણે દાવો કર્યો કે ટીએમસી ટૂંક સમયમાં ઇન્ડિયા ગઠબંધનથી અલગ થઈ શકે છે. રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પશ્ચિમ બંગાળ પહોંચી હતી ત્યારે ડાબેરી કાર્યકરો અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. હાલની પરિસ્થિતિ પ્રમાણે મમતા બેનર્જી કોંગ્રેસથી નારાજ ચાલી રહી છે.
બંગાળના કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજને મમતા બેનર્જી પર અનેકવાર શાબ્દિક પ્રહાર કરતા મમતા બેનર્જી ભારે ગુસ્સામાં જોવા મળી રહ્યા છે, અને તેમણે પશ્વિમ બંગાળમાં એકલા જ લોકસભા લડવાનું નિવદેન પણ આપ્યું છે. CPI(M) ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમ અને પાર્ટીની કેન્દ્રીય સમિતિના સભ્ય સુજન ચક્રવર્તી અને અન્ય નેતાઓ સાથે રઘુનાથગંજમાં રાહુલ ગાંધીને મળ્યા હતા. ત્યારબાદ તેમણે કહ્યું કે ડાબેરી પક્ષો આરએસએસ-ભાજપ અને અન્યાય સામેની લડાઈનો ભાગ બનવા કોંગ્રેસ યાત્રામાં જોડાયા હતા,તેમણે વધુમાં કહ્યું હતું કે અમે આરએસએસ-ભાજપ સામે લડી રહ્યા છીએ. ટીએમસી ઇન્ડિયા ગઠબંધનથી પોતાને દૂર કરવા તૈયારી કરી રહી છે. મમતા બેનર્જી હવે ઇન્ડિયા ગઠબંધનથી દૂર રહેવા માગે છે તો તેમના નિર્ણયનો અમે સ્વાગત કરીશું.