સાંતલપુરમાં સરકારી નાણાંની ઉઠાંતરીમાં તલાટી સંપર્ક બહાર ?
સાંતલપુર તાલુકાના ત્રણ ગ્રામ પંચાયતના બેંક ખાતામાંથી સરકારી નાણાં સરપંચ અને તલાટીની સહિથી ઉઠાવી લેવાયા છે. આ પછી તપાસ રીપોર્ટને અંતે નાણાંપંચની રકમનું બારોબારીયું થયુ હોવાનુ સામે આવતા રીકવરી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ ત્રણેય ગામોના સરપંચ અને તત્કાલિન તલાટીનો સંપર્ક કરી નાણાં પરત મેળવવા મથામણ આદરી છે. જોકે સૌથી મોટી વાત સામે આવી કે, કૌભાંડનો મુખ્ય સુત્રધાર તલાટી સંપર્ક બહાર હોવાનો ઘટસ્ફોટ છે.
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના જેકડા, ગઢા અને ઝંડાલા ગ્રામ પંચાયતને માથે આફત આવી છે. ૧૪માં નાણાંપંચની ત્રણેય ગામોની સરેરાશ ૨૦ લાખથી વધુની રકમ સરપંચો અને તલાટીએ ચેક દ્રારા ઉપાડી લીધી હોવાનું સામે આવ્યુ છે. જેની તપાસ બાદ તાલુકા અને જીલ્લાના અધિકારીઓએ યુધ્ધના ધોરણે સરકારી નાણાં પરત મેળવવા કવાયત હાથ ધરી છે. જેમાં સરપંચોનો સંપર્ક કરતા ગઢા ગામેથી હાલ પુરતુ આશ્વાસન હોવાનું સામે આવ્યુ છે. જ્યારે જેકડા અને ઝંડાલા ગામોના સરપંચો પાસેથી નાણાં પરત મેળવવા ભારે મુશ્કેલી થતાં સમય માંગ્યો હોવાનું ટીડીઓએ જણાવ્યુ છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ત્રણેય ગામોના નાણાં ચેક દ્રારા ઉપડી જતાં ગ્રામ પંચાયતના બેંકખાતામાં તળીયું આવી ગયુ છે. આવી સ્થિતિમાં નાણાંપંચની રકમથી થતાં વિકાસકામો અધ્ધરતાલ બન્યા છે. ત્રણેય ગામોના નાગરિકો માટે મહત્વપુર્ણ કામો વિલંબમાં પડી જતા વિકાસનું ભવિષ્ય સવાલોમાં આવ્યુ છે. તાલુકા પંચાયત દ્રારા ત્રણેય ગામોની મહિલા સરપંચો પાસે નાણાં પરત મેળવવા વાતચીતનો દોર અનેક વળાંકોમાંથી પસાર થઇ રહ્યો છે. જોકે સૌથી મોટો સુત્રધાર તત્કાલિન તલાટી સુરેશ રાવળ સંપર્ક બહાર હોવાનું ટીડીઓ વિજયાબેને જણાવતા હડકંપ મચી ગયો છે