આરબીઆઇએ જાહેર કર્યું છે કે રૂપિયા 2000ની 97.50 ટકા ચલણી નોટ પરત આવી
ભારત સરકારે 2000ની ચલણી નોટને માર્કેટમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો છે. ધીરે ધીરે માર્કેટમાંથી રૂપિયા 2000ની ચલણી નોટ રીઝર્વ બેંક પાસે જમા થઈ રહી છે. તેવામાં આરબીઆઇએ જાહેર કર્યું છે કે રૂપિયા 2000ની 97.50 ટકા ચલણી નોટ પરત આવી ગઈ છે. 31 જાન્યુઆરી સુધી ફક્ત 8,897 કરોડ રૂપિયાની 2000ની ચલણી નોટ જ સર્ક્યુલેશનમાં છે. વર્ષ 2023ના મે મહિનામાં જ્યારે રૂપિયા 2000ની ચલણી નોટ પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે વખતે આશરે 3.56 લાખ કરોડ રૂપિયાની ચલણી નોટ સર્ક્યુલેશનમાં હતી. આરબીઆઇના નિર્ણય બાદ આ આંકડો ખુબ ઝડપથી નીચે ગયો અને મોટાભાગની ચલણી નોટ માર્કેટમાંથી ગાયબ થઈ ગઈ.
ગુરૂવારે આરબીઆઇએ જણાવ્યું હતું કે આ પ્રકારે 19મી મે 2023ના રોજ સર્ક્યુલેશનમાં રહેલી રૂપિયા 2000ની ચલણી નોટમાંથી 97.50 ટકા ચલણી નોટ પરત આવી ગઈ છે. ગત વર્ષે 19મી મે 2023ના રોજ રૂપિયા 2000ની નોટનું કુલ મૂલ્ય 3.56 લાખ કરોડ રૂપિયા હતુ. રીઝવર્વ બેંકની કુલ 19 કચેરીઓમાં રૂપિયા 2000ની ચલણી નોટને બદલવાની સુવિધા 19 મે 2023ના રોજથી શરૂ કરી દેવામાં આવી હતી.
આરબીઆઇની નિગમ કચેરી 9 ઓક્ટોબર 2023થી નાગરીકો અને સંસ્થાઓ પાસેથી તેમના બેંક ખાતામાં રહેલી રૂપિયા 2000ની બેંકનોટનો પણ સ્વીકાર કરી રહ્યા છે. આ ઉપરાંત દેશના જૂદા જૂદા વિસ્તારોમાંથી લોકો પોતાના બેંક ખાતામાં જમા કરવા માટે પોસ્ટ ઓફિસના માધ્યમથી પણ આરબીઆઇની નિગમ કચેરીમાં રૂપિયા 2000ની ચલણી નોટ મોકલી રહ્યા છે. તેમાં જણાવવામાં આવ્યા પ્રમાણે રૂપિયા 2000ની બેંક નોટ માન્ય મુદ્રા ગણાશે. મહત્વનું છે કે, આ વખતે નોટબંધીની જેમ રૂપિયા 2000ની ચલણી નોટોના લીગલ ટેન્ડરને સમાપ્ત કરવામાં નથી આવ્યું. તેનો મતલબ એ છે કે જો તમારી પાસે રૂપિયા 2000ની ચલણી નોટ છે તો તમે તેને જમા કરાવીને લોકો પોતાના ખાતામાં પૈસા જમા કરાવી શકે છે અથવા તેના બદલામાં અન્ય ચલણી નોટ લઈ શકે છે.