પાટણ કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં 9 અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો
પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે રાજ્ય સરકારે ગ્રામીણ સ્તરેથી લઈ રાજ્ય સરકાર સુધી સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકેલો છે. આજે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરમાંથી આવેલા 9 જેટલા અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેકટરે રૂબરૂ સાંભળીને પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.પાટણ જિલ્લા કચેરી કલેકટર કચેરીએ આજે 9 જેટલા અરજદારો પોતાના પ્રશ્નો લઈ જિલ્લા સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા. આજના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત દબાણના પ્રશ્નો, રોડના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, પાક ધિરાણ, તેમજ રીસર્વેના વગેરે સંબંધિત પ્રશ્નોને લઈને અરજદારોએ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જે તમામ પ્રશ્નોને સાંભળી તેનું સ્થળ પર હકારાત્મક નિરાકરણ લાવવા માટે કલેકટરએ સંબંધિત અધિકારીઓને સૂચન કર્યાં હતાં.
જેમાં જિલ્લા સ્વાગતના અરજદાર મહાદેવભાઇ અમથાભાઈએ જણાવ્યું હતું કે ” હુ રાધનપુર તાલુકાના ભાટિયા ગામનો વતની છું મેં ઘણા સમયથી પાક ધિરાણની લોન લીધેલ હતી અને ફરીથી મારે પાક ધિરાણની લોન લેવાની હતી પરંતુ બેંક મેનેજરની બદલી થઈ જવાના કારણે મને યોગ્ય જવાબ મળતો ન હતો છેલ્લા ત્રણ ચાર મહિનાથી મારો આ પાક ધિરાણનો કેસ ચાલતો હતો ત્યારે આ પ્રશ્નના નિરાકરણ માટે મેં જિલ્લા સ્વાગત અરજી કરી હતી. આ અરજીમાં અનુસંધાનમાં જિલ્લા કલેકટર દ્વારા સકારાત્મક ઉકેલ આવતા બેંક દ્વારા પાક ધિરાણની લોન આપવા માટે મંજૂરી આપી છે તે બદલ હું જિલ્લા કલેક્ટર તેમજ માનનીય મુખ્યમંત્રી સાહેબનો ખુબ ખુબ આભાર માનું છું.આજે યોજાયેલા જિલ્લા સ્વાગતમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ.સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, ડી.આર.ડી.એ નિયામક મકવાણા તેમજ જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.