વરસાદની સિઝનમાં સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા રજુઆત
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના આનંદ સરોવર પાછળ આવેલા બ્રહ્માકુમારી રોડ પર રામપાર્ક સામે કેનાલ પર વસેલા 26 ઝૂંપડાવાસીઓને ગેરકાયદેસર દબાણ ખાલી કરવા નોટિસ અપાઈ છે. આ ઉપરાંત, ઊંઝા ત્રણ રસ્તા નજીક હાંસાપુર ગામ પાસે આવેલી દૂધ ડેરી નજીકના 36 જેટલા રહીશોને પણ તેમના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા તંત્ર તરફથી નોટિસ પાઠવવામાં આવી છે. પાલિકાની આ કાર્યવાહીના પગલે અસરગ્રસ્ત રહીશો અને સ્થાનિક આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે.કેનાલ રોડ અને રેલ્વે સોસાયટી પાસેના ઝૂંપડામાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 55 વર્ષથી આ જગ્યા પર વસવાટ કરી રહ્યા છે અને તેમની 2 થી 3 પેઢીઓ અહીં જ વીતી ચૂકી છે. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે, પરિવારમાં બાળકો અભ્યાસ કરે છે અને કેટલાય લોકો બીમાર છે. અત્યાર સુધી તેમની પાસે રહેઠાણની અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે જો આ જમીન સરકારની હોય અને તંત્ર તેને પરત લેવા માંગતું હોય તો તેમને કોઈ વાંધો નથી. પરંતુ, હાલ ચોમાસાની ઋતુ હોવાથી અને માથે વરસાદ હોવાથી આ ગરીબ પરિવાર કઈ જગ્યાએ આશરો લેશે તે મોટો પ્રશ્ન છે. બાળકોના ભવિષ્ય અને બીમાર લોકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી તંત્ર તરફથી કોઈ રહેઠાણની સેટલમેન્ટ કે વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમને અહીંથી ન હટાવવા વિનંતી કરવામાં આવી હતી. આ મામલે સ્થાનિકોની વહારે આવેલા પૂર્વ કોર્પોરેટર ઠાકોર ભવાનજીએ પણ પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વસતા ઠાકોર સમાજના અતિ ગરીબ વર્ગના લોકોને વારંવાર ટાર્ગેટ કરીને નોટિસો ફટકારવામાં આવી રહી છે અને તાત્કાલિક ધોરણે જગ્યા ખાલી કરવાના આદેશો અપાય છે. તંત્ર દ્વારા સીધી જ 15 દિવસની નોટિસ આપી દેવામાં આવી છે, જેના કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ભવનજીએ માંગ કરી હતી કે, હાલમાં જ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને બાળકોની શાળાઓ ચાલુ હોવાથી ગરીબ પરિવારો પોતાના બાળકોને ક્યાં ભણવા મુકશે અને વરસાદમાં ક્યાં આશરો લેશે તે અંગે તંત્રએ વિચાર કરવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ગરીબ વર્ગના લોકોને 2 થી 4 મહિનાનો સમય આપવામાં આવે જેથી તેઓ પોતાની રીતે અન્ય જગ્યાએ વ્યવસ્થા કરી શકે, અથવા તો તંત્ર દ્વારા જ તેમને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તેવી તેઓએ માગ કરી હોવાનું જાણવા મળ્યું છે.





