ગાયત્રી મંદિર આજુબાજુની સોસાયટીઓ સહિત રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા લોકોની હાલાકી વધી
પાટણ શહેર સહિત પંથકમાં થોડા દિવસોના વિરામ બાદ બુધવારે બપોરે મેઘરાજાની પુનઃ ધમાકેદાર એન્ટ્રી થતાં ઉકળાટ ભર્યા વાતાવરણમાં ઠંડક ની લહેર પ્રસરી જવા પામી હતી. જોકે બપોરે શરૂ થયેલ વરસાદ સતત દોઢેક કલાક સુધી વરસતા શહેરના ગાયત્રી મંદિર પાછળ આવેલી ચિત્રકૂટ નગર,યોગેશ્વર પાર્ક, શ્રીનગર સહિત આસપાસની સોસાયટીઓમાં જળ બંબાકારની સ્થિતિ સજાંઈ હતી.
ખાસ કરીને ચિત્રકૂટ નગર અને યોગેશ્વર પાર્ક સોસાયટીના મુખ્ય ગેટ પાસે કેડ સમા પાણી ભરાઈ જતાં રહીશો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.જયારે સ્થાનિક લોકોની આવન-જાવનનો રસ્તો બંધ થઈ જતાં દૈનિક કામકાજ પર માઠી અસર પડી હતી.આ વિસ્તારમાં રહેતા રહીશોનું કહેવું છે કે, નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી ફક્ત કાગળ ઉપર હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે થોડા વરસાદમાં જ સમગ્ર વિસ્તારપાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકા પ્રમુખ, સ્થાનિક કોર્પોરેટરો અને કલેકટરે જાતે આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ અને પાણીના નિકાલ માટે તાત્કાલિક યોગ્ય કામગીરી કરાવે તેવી વિસ્તારના રહીશો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી.તો શહેરના રેલવે ગરનાળા મા પણ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકોને હાલાકી ભોગવવી પડી હતી.





