પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી પતિ-પત્નીએ પોતાના ધંધાકીય કે અંગત જરૂરિયાતો માટે મહેસાણા અર્બન બેંક પાસેથી અલગ-અલગ લોન મેળવી હતી. આ લોન મેળવતી વખતે તેમણે પોતાની સ્થાવર મિલકતો અને પ્રોપર્ટી બેંકમાં ગીરવે (મોર્ગેજ) મૂકી હતી અને તેના કાયદેસરના દસ્તાવેજો બેંક પાસે જમા કરાવ્યા હતા. નિયમો અનુસાર, જ્યાં સુધી બેંકની લોનની સંપૂર્ણ રકમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી ગીરવે મૂકેલી મિલકતનું વેચાણ કે હસ્તાંતરણ કરી શકાતું નથી.
પરંતુ, આરોપીઓએ બેંકના નિયમો અને કાયદાને નેવે મૂકીને બેંકની સત્તાવાર પરવાનગી વગર જ પોતાની આ ગીરવે રાખેલી મિલકતો ત્રાહિત વ્યક્તિઓને વેચી દીધી હતી. એટલું જ નહીં, મિલકતોના વેચાણ બાદ મળેલા નાણાં પણ બેંકમાં લોન માટે જમા કરાવવાને બદલે તેનો અન્યત્ર ઉપયોગ કરી લીધો હતો. જ્યારે બેંક દ્વારા લોનના હપ્તા અને વ્યાજ બાબતે તપાસ કરવામાં આવી ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
બેંકના સત્તાધીશો દ્વારા હિસાબોની ખરાઈ કરતા જાણવા મળ્યું કે, આરોપીઓએ જાણીબૂજીને બેંક સાથે વિશ્વાસઘાત કર્યો છે અને કુલ રૂ. ૧૦.૮૮ કરોડથી વધુની માતબર રકમની ઠગાઈ આચરી છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈને બેંકના જવાબદાર અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને છેતરપિંડી તથા વિશ્વાસઘાત આચરનાર પતિ-પત્ની સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરીને આગળની કાયદાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી સહકારી બેંકિંગ ક્ષેત્રમાં ફફડાટ ફેલાયો છે.





