તાત્કાલિક સમારકામ નહીં થાય તો અકસ્માતનો ભય, સ્થાનિકોની તંત્રને કાર્યવાહી કરવાની માંગ
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં ઉંબરીથી બુકોલી તરફ જતા માર્ગ પર આવેલી સુજલામ સુફલામ કેનાલ ઉપર બનાવાયેલા આર.સી.સી. રોડમાં મોટા પ્રમાણમાં ભુવા પડી જતાં વાહન વ્યવહાર માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. માર્ગ પરથી રોજિંદા પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોમાં અકસ્માતની ભીતિ વ્યાપી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કેનાલ ઉપર બનાવવામાં આવેલા આર.સી.સી. ધાબા પર અનેક સ્થળોએ રોડનું ધોવાણ અને ભુવા પડવાના કારણે માર્ગની સ્થિતિ ખરાબ બની છે. ખાસ કરીને બાઈક ચાલકો અને નાના વાહનો માટે આ સ્થળ અકસ્માતનું કારણ બની શકે તેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.સ્થાનિક રહેવાસીઓએ ઉમેર્યું હતું કે, માર્ગની હાલની સ્થિતિને કારણે વાહન ચાલકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને લઈ સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. લોકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે જો સમયસર સમારકામ નહીં કરવામાં આવે અને કોઈ અનિચ્છનીય અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે ? હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ ગંભીર મુદ્દાને કેટલી ઝડપથી ધ્યાનમાં લઈ માર્ગને ફરી સુરક્ષિત અને વાહન વ્યવહાર લાયક બનાવે છે.





