દીકરીને બચાવવા દોડેલા પિતાનું પણ વીજ કરંટથી મોત, પિતા-દીકરીનાં કરૂણ મોતથી પરિવાર પર આભ ફાટ્યું
રસાણા નાનામાં મીટરના વીજ વાયરમાંથી ઉતર્યો કરંટ : દીકરી બાદ બચાવવા ગયેલા પિતાએ પણ ગુમાવ્યો જીવ
ડીસા તાલુકાના રસાણા નાના ગામે વીજ કરંટની ઘટનામાં પિતા-દીકરીના કરૂણ મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. ઘરમાં લગાવેલા મીટરના વીજ વાયરમાંથી અચાનક કરંટ ઉતરતાં 20 વર્ષીય અમીષા કાનજીજી ઠાકોર વીજ કરંટની લપેટમાં આવી ગઈ હતી. દીકરીને બચાવવા દોડી આવેલા પિતા કાનજીજી સરદારજી ઠાકોરને પણ વીજ કરંટ લાગતાં ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, રસાણા નાના ગામે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતો પરિવાર રહે છે. ગુરુવારે સવારે આશરે 9 વાગ્યાના અરસામાં 20 વર્ષીય અમીષા કાનજીજી ઠાકોર ઘરમાં હતી. દરમિયાન પતરાવાળા મકાનમાં લગાવેલા મીટરના વીજ વાયરમાંથી અચાનક કરંટ ઉતરતાં અમીષા તેની લપેટમાં આવી ગઈ હતી. દીકરીની ચીસો સાંભળીને પિતા કાનજીજી સરદારજી ઠાકોર તેને બચાવવા દોડી ગયા હતા. જોકે બચાવ દરમિયાન તેમને પણ જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને સમગ્ર બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. પિતા-દીકરીના મૃતદેહોને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેના પોસ્ટમોર્ટમ કરાયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.મૃતક કાનજીજી ઠાકોરના પરિવારમાં પત્ની અને 15 વર્ષનો દીકરો છે. પરિવારના મુખ્ય કમાવનાર પિતાનું મોત થતાં માત્ર 15 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પિતા-દીકરીના એકસાથે મોતથી શ્રમિક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
દરમિયાન મૃતકની મોટી દીકરી નિકિતાબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, તેમના પિતાએ ઘરમાં લટકતા વીજ વાયરોના રિપેરિંગ માટે હેલ્પર તેમજ વીજ વિભાગના અધિકારી(સાહેબો)ઓને વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં યોગ્ય કામગીરી કરવામાં આવી ન હોવાના કારણે આ દુર્ઘટના બની હોવાનો પરિવારનો આક્ષેપ છે. પરિવારને યુજીવીસીએલ તરફથી મળવાપાત્ર સહાય મંજૂર કરવામાં આવે તેવી માંગ સાથે ન્યાય નહીં મળે તો કોર્ટના શરણે જવાની ચીમકી પણ પરિવાર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.





