રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા16 જૂન, 2025| Super Admin

પાલનપુરમાં રામજીનગરથી હાઈવે સુધીનો રોડ બિસ્માર, વરસાદમાં લોકોને ભારે હાલાકી

પાલનપુરમાં રામજીનગરથી હાઈવે સુધીનો રોડ બિસ્માર, વરસાદમાં લોકોને ભારે હાલાકી
પાલનપુર શહેરમાં લક્ષ્મીપુરા આરોગ્ય કેન્દ્રથી રામજીનગર, કૈલાસનગર થઈને અમદાવાદ હાઈવેના ગઠામણ પાટિયા સુધીનો મુખ્ય રોડ હાલ બિસ્માર બન્યો છે. પાઈપલાઈન નાખવાની કામગીરી માટે રોડ તોડી દીધા બાદ ફરી રોડની કામગીરી ન કરાતા સ્થાનિક લોકો હાલાકી વેઠવા માટે મજબૂર બન્યા છે. આસપાસ રહેણાંક સોસાયટીઓ માટેનો આ મુખ્ય રોડ હોવાના કારણે સ્થાનિક લોકો મુશ્કેલી વેઠવા માટે મજબૂર બન્યા છે જોકે સ્થાનિકોએ જણાવ્યું કે આ અંગે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ નવીન રોડ બનાવવામાં આવ્યો નથી જેના કારણે ચોમાસામાં પાણી ભરાઈ જતા ચાલવું પણ મુશ્કેલ બને છે. એટલું જ નહીં રોજ આ રસ્તેથી પાંચ સ્કૂલોની 10 બસો પસાર થાય છે. ભૂલકાઓ સવારે આ રસ્તે મુસાફરી કરે છે. તેમજ આજુબાજુની સોસાયટીઓના લોકો પણ વાહનો લઈ આજ રોડનો ઉપયોગ કરે છે. જેથી ઉબડ ખાબડ બનેલા રોડના કારણે હેરાન થઈ રહ્યા છે. આ રોડ વોર્ડ નંબર 8 અને 9 ને જોડતો રોડ છે જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે પરંતુ  સ્થાનિક નગરસેવકો આ બાબતે કોઈ જ ધ્યાન ન આપતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.જોકે હાલમાં માથે ચોમાસું છે ત્યારે ચોમાસુ શરૂ થાય એ પહેલાં રોડનું કામ ન થાય તો પરિસ્થિતિ વરસાદમાં વધુ ખરાબ બનશે અને રહેવાસીઓને બહાર નીકળવું મુશ્કેલ બનશે. બીજી તરફ જે ભૂગર્ભ લાઈન નાખવામાં આવી છે તેને હાઈવે તરફ હાઈવે ઓથોરિટી હજુ સુધી જોડાણ કરવામાં ન આવતા પાણી રોડ ઉપર જ ભરાઈ રહેવાની પરિસ્થિતિ ઊભી થતી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે ત્યારે આ સમસ્યાનુ નિરાકરણ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર