જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં આજે જેઠ સુદ પૂનમ નિમિત્તે વહેલી સવારથી જ માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભક્તોની ભારે ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર મંદિર પરિસર ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
પૂનમના પાવન અવસરે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરને રંગબેરંગી ફૂલોથી વિશેષ શણગારવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીના દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી.પરંપરા મુજબ પ્રથમ સિદ્ધિ વિનાયકની આરતી, ત્યારબાદ આદ્યશક્તિ માતાજીની મહાઆરતી અને અંતે અંબિકેશ્વર મહાદેવની આરતી યોજાઈ હતી. આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો ભક્તિમાં લીન બની માતાજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પૂનમના પાવન દિવસે અંબાજીમાં ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિકતાનું અનોખું દૃશ્ય સર્જાયું હતું.





