દબાણ મામલે પાલિકાની કડક કાર્યવાહીને લઇ દબાણકારોમા ફફડાટ
પાટણ નગરપાલિકાએ શહેરમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામો હટાવવા કવાયત તેજ કરી છે. અગાઉ પીતાંબર તળાવ ફરતે 110 રહીશોને નોટિસ અપાયા બાદ, હવે વધુ બે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં 64 ગેરકાયદેસર બાંધકામોને 15 દિવસમાં દૂર કરવા પાલિકા દ્વારા તાકીદ કરાઈ છે.પાલિકા એ પાટણ શહેરના આનંદ સરોવર પાછળ આવેલા બ્રહ્માકુમારી રોડ પર રામપાર્ક સામે કેનાલ પર વસેલા 28 ઝૂંપડાવાસીઓ પૈકી 26 ને નોટિસ આપવામાં આવી છે. બે રહીશો હાજર ન હોવાથી તેમને નોટિસ મળી શકી નથી.જ્યારે, ઊંઝા ત્રણ રસ્તા નજીક હાંસાપુર ગામ પાસે દૂધ ડેરી નજીકના 36 જેટલા રહીશોને પણ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.
નગરપાલિકા દ્વારા બ્રહ્માકુમારી રોડ પર રેલવેના બીજા નાળાથી બ્રહ્માકુમારી માર્ગને અડીને આવેલા પાણીના વહોળાની જમીન પરના ગેરકાયદેસર મકાન, પગથિયાં, પાકા ઓટલા અને શેડ જેવા બાંધકામોને 15 દિવસમાં દૂર કરવા જણાવ્યું છે. મુદત વીત્યા પછી દબાણકારોના ખર્ચે અને જોખમે આ બાંધકામો દૂર કરવામાં આવશે.આ ઉપરાંત, ઊંઝા ત્રણ રસ્તાથી ઊંઝા જવાના રસ્તા પર હાંસાપુર ગામ પાસે અમુલ ડેરીની બાજુમાં આવેલા રેવન્યુ સર્વે નંબર 375 પૈકીની સરકારી જમીનમાં કરાયેલા ગેરકાયદેસર ઝૂંપડાના બાંધકામોને પણ 15 દિવસમાં દૂર કરવાની સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.પાલિકા દ્વારા શહેરમાં દબાણો અને ગેરકાયદેસરના બાધકામો દુર કરવા હાથ ધરાયેલી કડક કાર્યવાહીને લઇ દબાણકારોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.





