મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડતી સરકારની 'મધ્યાહન ભોજન યોજના'માં ગંભીર ગેરરીતિ સામે આવી છે. સરકારી ચોપડે અને ઓનલાઈન પોર્ટલ પર વિદ્યાર્થીઓની બોગસ હાજરી દર્શાવીને સરકારી ફંડનો ગેરલાભ લેવામાં આવી રહ્યો હતો. આ કૌભાંડ ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવતાં વહીવટી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે અને તાત્કાલિક અસરથી ત્રણ જુદી-જુદી સરકારી શાળાઓના સંચાલકોને સસ્પેન્ડ કરી દીધા છે.
અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં આ ભ્રષ્ટાચાર ખુલ્લો પડતાં, કસૂરવાર ઠરેલા ત્રણેય સંચાલકો પાસેથી દંડની આકરી વસૂલાત કરવાના આદેશો આપવામાં આવ્યા છે. જેમાં લાડોલ પ્રાથમિક કન્યાશાળાના સંચાલક કામિનીબેન દિલીપભાઈ પટેલને સૌથી વધુ રૂ. 3.96 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, મહાદેવપુરા (ડાભલા) શાળાના સંચાલક જિજ્ઞાસાબેન દિલીપકુમાર જાની પાસેથી રૂ. 41,531 અને સુંદરપુર પ્રાથમિક શાળાના સંચાલક જશીબેન નટવરભાઈ પરમાર પાસેથી રૂ. 80,229 ની રકમ વસૂલ કરવાનો નિર્ણય લેવાયો છે.
ગરીબ બાળકોના હકના ભોજન અને નાણાં ચાઉં કરી જવાની આ ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચકચાર જગાવી છે. વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ દ્રષ્ટાંતરૂપ અને આકરા પગલાંને કારણે ગેરરીતિ આચરતા અન્ય તત્વોમાં પણ ભયનો માહોલ છવાયો છે. આ મોટું કૌભાંડ બહાર આવતાં હવે આગામી દિવસોમાં જિલ્લાની અન્ય શાળાઓમાં પણ મધ્યાહન ભોજન યોજનાના રેકોર્ડની ઓચિંતી અને સઘન તપાસ હાથ ધરવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે.





