પાટણ શહેરના મીરા દરવાજા ભીલવાસ વિસ્તારમાં એક યુવક પર ધોકા અને ફેટો વડે હુમલો કરવામાં આવ્યો છે. જૂની મિત્રતાની અદાવતમાં ત્રણ વ્યક્તિઓએ આ હુમલો કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પાટણ સિટી પોલીસ મથકે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગત 27 જૂન 2026 ના રોજ સાંજના સમયે આ ઘટના બની હતી. પાટણના મીરા દરવાજા ભીલવાસમાં જોગણી માતાજીના મંદિર આગળ 18 વર્ષીય વારીશભાઈ મનુભાઈ ભીલ બેઠા હતા.તે સમયે તેમના જ મહોલ્લામાં રહેતા ગોવિંદભાઈ રામજીભાઈ ભીલ, અશોકભાઈ રામજીભાઈ ભીલ અને કંચનબેન રામજીભાઈ ભીલ ત્યાં આવ્યા હતા.આરોપીઓએ વારીશભાઈને "તું અમારી દીકરી જાનવીને કેમ બોલાવે છે?" તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો.
વારીશભાઈએ સ્પષ્ટતા કરી કે જાનવી સાત મહિના પહેલા તેની મિત્ર હતી, પરંતુ હાલમાં તે તેને બોલાવતો નથી. તેમ છતાં, આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા.ઝઘડો ઉગ્ર બનતા, ગોવિંદભાઈ ભીલે તેમના હાથમાં રહેલા ધોકા વડે વારીશભાઈના જમણા ગાલ પર માર માર્યો હતો. અશોકભાઈ ભીલે વારીશભાઈની પીઠના ભાગે ધોકા વડે પ્રહાર કર્યા હતા. કંચનબેને યુવકના મોઢાના ભાગે ઉપરાઉપરી ફેટો મારી ઈજા પહોંચાડી હતી.વારીશભાઈએ બૂમાબૂમ કરતા તેમના કુટુંબી ભાઈઓ રાજભાઈ મુકેશભાઈ ભીલ અને સંજયભાઈ રામાભાઈ ભીલ વચ્ચે પડ્યા હતા. તેમણે વારીશભાઈને વધુ મારથી બચાવ્યા હતા. હુમલો કર્યા બાદ આરોપીઓ "હવે પછી ઘરની બહાર નીકળ્યો તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.ઈજાગ્રસ્ત વારીશભાઈને તેમના કુટુંબીજનો સારવાર માટે રીક્ષામાં ધારપુર હોસ્પિટલ લઈ ગયા હતા. આ મામલે પાટણ સિટી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.





