કાંકરેજ તાલુકાના રાનેર ગામે કદમ સેવા ફાઉન્ડેશનના સૌજન્યથી તથા પ્રમુખ જાદવ કનુભા વી.ના માર્ગદર્શન હેઠળ પાંચમા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરબાર સમાજની 8 દીકરીઓ વૈદિક વિધિ મુજબ લગ્નગ્રંથિથી જોડાઈ પોતાના નવા જીવનમાં પ્રવેશી હતી.
સમારોહમાં ગામના સરપંચ ચતુરસિંહ જાદવ, જોષી પ્રવીણભાઈ, આચાર્ય દવે રતુભાઈ, મહારાજ ચાણોદ હરેશભાઈ સહિત સમાજના આગેવાનો, મહેમાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આ ઉપરાંત સમૂહ લગ્ન યોજાયેલા સ્થળે વૃદ્ધોની સેવા અને સંભાળ માટે નિર્માણ પામનારા વૃદ્ધાશ્રમનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પહેલને સમાજના આગેવાનો અને ગ્રામજનોએ આવકારી હતી.
કાર્યક્રમના સફળ આયોજનમાં મદારસિંહ સમૌવાળા અને તેમની ટીમે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક, સાંસ્કૃતિક અને સેવાભાવના માહોલમાં સંપન્ન થયો હતો. સમાજના સહયોગથી યોજાયેલા આ સમૂહ લગ્ન સામાજિક એકતા, સાદગી અને દીકરીઓના કલ્યાણ માટે પ્રેરણારૂપ બન્યા હતા.





