મૃતક વ્યક્તિના નામે નકલી પાવર ઓફ એટર્ની બનાવી કરોડોની કિંમતની જમીન પચાવી પાડવા અને છેતરપિંડી આચરવાના વર્ષો જૂના કેસમાં ચાણસ્માની અદાલતે મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. ચાણસ્માના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (જે.એમ.એફ.સી.) આર. એમ. ચાવડાની કોર્ટે વર્ષ 2012ના ફોજદારી કેસમાં મુખ્ય આરોપી સ્વામી નિમેષકુમાર સુરેશચંદ્રને ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને 471 હેઠળ દોષિત ઠેરવી એક-એક વર્ષની સખત કેદ તથા કુલ રૂ. 50,000નો દંડ ફટકાર્યો છે.ફરિયાદી બાબુભાઈ અમથાભાઈ દેસાઈ (રહે. ખારીઘારીયાલ, તા. ચાણસ્મા), જેઓ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે વર્ષ 2010 માં અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં આવેલી સર્વે નંબર 171/1ની કિંમતી જમીનનો રૂ. 40 લાખમાં સોદો કર્યો હતો. આરોપી નિમેષકુમાર સ્વામીએ જમીનના મૂળ માલિક જયંતીલાલ માધાભાઈ સંઘવીના નામે વર્ષ 1996ની જનરલ પાવર ઓફ એટર્ની રજૂ કરીને ફરિયાદી પાસેથી બાનાખત કરાવી હતી.
જોકે, જમીનની નોંધણી પ્રક્રિયા દરમિયાન મૂળ માલિકના વારસદારોએ વાંધો ઉઠાવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું. તપાસમાં ખુલાસો થયો કે જમીનના અસલ માલિક જયંતીલાલ સંઘવીનું તો વર્ષ 1991માં જ અવસાન થઈ ચૂક્યું હતું. તેમ છતાં આરોપીએ તેમના અવસાન બાદ વર્ષ 1996માં નકલી પાવર ઓફ એટર્ની તૈયાર કરીને છેતરપિંડી આચરી હતી.કેસ દરમિયાન આરોપીઓએ નાણાકીય સમાધાનના ચેકો આપીને બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ચેકો પણ બાઉન્સ થતાં અંતે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષ તરફથી વિશેષ સરકારી વકીલ (VAPP) એ. જે. ગોસ્વામીએ મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓની મજબૂત સાંકળ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.
ફરિયાદી બાબુભાઈ દેસાઈ, સાક્ષી હિતેનભાઈની જુબાની, બોગસ પાવર ઓફ એટર્નીની નકલો તેમજ સબ-રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજોના આધારે અદાલતે આરોપીને દોષિત ઠેરવ્યો હતો.ચુકાદામાં અદાલતે નોંધ્યું હતું કે પાવર ઓફ એટર્ની જેવા કાયદેસર દસ્તાવેજનો દુરુપયોગ કરીને અન્ય વ્યક્તિની મિલકત પર ગેરકાયદેસર કબજો મેળવવાનો પ્રયાસ અત્યંત ગંભીર આર્થિક ગુનો છે. આવા ગુનાઓ માત્ર વ્યક્તિગત નુકસાન પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સમાજમાં કાયદેસર દસ્તાવેજો અને નોંધણી પ્રણાલી પ્રત્યેનો વિશ્વાસ પણ ડગમગાવે છે.
અદાલતે વધુમાં સ્પષ્ટ કર્યું કે મિલકત સંબંધિત છેતરપિંડીના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને આવા ગુનાઓમાં યોગ્ય અને કડક સજા જરૂરી છે, જેથી સમાજમાં કાયદાનું શાસન મજબૂત બને અને પ્રામાણિકતા તથા ન્યાયતંત્ર પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે. આ ચુકાદા દ્વારા અદાલતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નકલી દસ્તાવેજો બનાવી અથવા પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરીને મિલકત મેળવવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને કાયદા મુજબ કડક પરિણામોનો સામનો કરવો પડશે.





