સરકાર દ્વારા રાઈટ ટુ વે મુજબ વળતર નીતિ ઘડવાની માંગ
બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ મામલતદાર કચેરી ખાતે વીજ ટાવર લાઈન મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોના હિતોની રક્ષા થાય અને યોગ્ય વળતર નીતિ અમલમાં મુકાય તેવી માંગ સાથે કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખાનગી કંપનીઓ દ્વારા સૌર ઊર્જા, પવન ઊર્જા, વીજ સબ-સ્ટેશન અને વીજ ટાવર લાઈનના વિવિધ પ્રોજેક્ટો પર કામગીરી ચાલી રહી છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને વળતર અને જમીન સંબંધિત પ્રશ્નોને લઈ રજૂઆતો મળી રહી છે. આથી સરકાર દ્વારા રાઈટ ટુ વે મુજબ સ્પષ્ટ અને ખેડૂતલક્ષી વળતર નીતિ ઘડવાની માંગ કરવામાં આવી છે. કાંકરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હાર્દિક દેસાઈની આગેવાની હેઠળ મામલતદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં અરણીવાડા, રાનેર, ફતેગઢ, જાળીયા અને લક્ષ્મીપુરા સહિતના ગામોના ખેડૂતોના પ્રશ્નોનો ઉલ્લેખ કરાયો હતો. તેમજ કુલ નવ મુદ્દાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બચુજી મકવાણા, તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અમરતજી ઠાકોર, તાલુકા પંચાયત સભ્ય મહેશભાઈ ગોવિંદભાઈ જોષી, એડવોકેટ આર.ડી. દરજી સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મામલતદાર વિજય ચૌધરીએ રજૂઆત વડી કચેરી સુધી પહોંચાડી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.





