ખોટા બિલો બનાવી સરકારી નાણાની ઉચાપત કરી ચોકીદારોને ધમકાવ્યા
પાટણ જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારી (DDO)ના નિવાસ સ્થાને સુરક્ષા પૂરી પાડવાના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટ સ્થિત રામ સિક્યોરિટી એજન્સીના સંચાલક કેયુર રસીકલાલ અનડકટ સામે છેતરપિંડી, ખોટા દસ્તાવેજો બનાવવા અને સરકારી નાણાંની ઉચાપત કરવા બદલ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ મુજબ, એજન્સીના સંચાલકે રૂ. 91,000ની સિક્યોરિટી ડિપોઝિટની રકમ ભરી ન હતી. વધુમાં, ફરજ પર ન હોય તેવા વ્યક્તિઓના ખોટા નામે બિલો બનાવી સરકારી નાણાં મેળવ્યા હતા.પાટણ જિલ્લા પંચાયતની બાંધકામ શાખામાં સીનિયર ક્લાર્ક પ્રવિણભાઈ હરજીભાઈ દેસાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, વર્ષ 2025 માં રામ સિક્યોરિટી એજન્સીને 9 ચોકીદારો પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 દરમિયાન એજન્સીએ કુલ 9 ચોકીદારોના બિલો રજૂ કર્યા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મનિષ ગરચર, મિત ગોહેલ, ધનેશ કોટક, શીવા, વિશાલ, અનુજ, બીપીન, સૌરભ અને શિવમ નામના વ્યક્તિઓએ ક્યારેય ફરજ બજાવી ન હતી. એજન્સીએ આ ખોટા નામના વ્યક્તિઓને ચોકીદાર તરીકે દર્શાવી સરકાર માંથી નાણાં મેળવી લીધા હતા.આ ઉપરાંત, જે ચોકીદારો ખરેખર ફરજ બજાવતા હતા તેમને નિયત લઘુત્તમ વેતન કરતાં ઓછો પગાર ચૂકવવામાં આવતો હતો. સંચાલક કેયુર અનડકટે ચોકીદારોને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપીને વોટ્સએપ પર ક્યુ.આર. કોડ મોકલી અંદાજે રૂ. 23,500 પરત મેળવી લીધા હતા.સરકારી કચેરી દ્વારા ચોકીદારોના પગાર માટે મોકલવામાં આવેલો રૂ. 3,46,518નો ચેક એજન્સીના ખાતામાં જમા થયા પછી પણ ત્રણ દિવસ સુધી નાણાંની હંગામી ઉચાપત કરવામાં આવી હતી. હાલમાં પાટણ પોલીસે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તો આ બનાવ પાટણ જિ. પં. કચેરીમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હોવાનું જાણવા મળ્યું છે.





