પશુપાલકે રૂ. 2 લાખના નુકસાનની પોલીસમાં ફરિયાદ નોંધાવી
સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામ પાસે ચામુંડા માતાજીના મંદિર નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બકુત્રા તરફથી પૂરઝડપે આવી રહેલી એક બ્રેઝા કારે રસ્તો ક્રોસ કરી રહેલી ભેંસોને ટક્કર મારી હતી. આ ઘટનામાં બે ભેંસોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ત્રણ પાડીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પશુપાલકે આ મામલે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.ઘટનાની વિગતો અનુસાર, કલ્યાણપુરા ગામના પશુપાલક બાબુભાઇ દલાભાઇ આહીર સાંજના સમયે તેમના ભાઈ મહેશભાઇ સાથે પશુઓ ચરાવીને પરત ફરી રહ્યા હતા.આ દરમિયાન કલ્યાણપુરા ચામુંડા માતાજીના મંદિર પાસે પહોંચતા સામેથી સફેદ કલરની બ્રેઝા કાર ના ચાલક ભરતભાઇ માદેવભાઇ આહીર (રહે. બકુત્રા) એ ગફલતભરી રીતે ગાડી ચલાવી પશુઓને અડફેટે લીધા હતા.
આ અકસ્માતમાં અંદાજે રૂ. 2,00,000 ની કિંમતની બે ભેંસોના મોત થયા હતા. અકસ્માત બાદ સ્થાનિક ડેરીના મંત્રીને જાણ કરવામાં આવી હતી અને પશુ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. જેમણે ઇજાગ્રસ્ત ત્રણ પાડીઓની પ્રાથમિક સારવાર કરી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ શરૂઆતમાં કાર ચાલકે નુકસાનીનું વળતર આપવાની ખાતરી આપી હતી, પરંતુ બાદમાં વળતર આપવાનો ઇનકાર કરતા પશુપાલકે પોલીસનો આશરો લીધો હતો. સાંતલપુર પોલીસે આ અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 325 તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





